ખાનગી ટૂર ઓપરેટર દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા પર જઈ રહેલા પ્રવાસીઓ માટે વિદેશ મંત્રાલયે મહત્વની ચેતવણી જાહેર કરી છે. હાલમાં માનસરોવર યાત્રા પર નીકળેલા આશરે ૫૨ જેટલા ભારતીય પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે. તેઓ આગળ ચીન જઈ શકતા નથી.
વિદેશ મંત્રાલયે એડવાઈઝરીમાં શું કહ્યું?
નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા યાત્રા પર ગયા હતા. તેમની પાસે ચીનમાં પ્રવેશ કરવા માટે જરૂરી પરમિટ અને વિઝા નહોતા. ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની એડવાઈઝરીમાં નીચે મુજબની સૂચનાઓ આપી છે:
-
નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી યાત્રાના તમામ જરૂરી દસ્તાવેજો ન મળે, ત્યાં સુધી ભારતમાંથી પ્રવાસ શરૂ ન કરવો.
કન્ફર્મ દસ્તાવેજો વિના અથવા ભવિષ્યમાં દસ્તાવેજો મળી જશે તેવી આશાએ પ્રવાસ શરૂ કરવાથી ફસાઈ જવાનું જોખમ વધે છે.
તીર્થયાત્રીઓએ એ પણ પાકું કરી લેવું જોઈએ કે તેમનો ટૂર ઓપરેટર યોગ્ય રીતે રજિસ્ટર્ડ અને સત્તાવાર હોવો જોઈએ.
નેપાળમાં ફસાયેલા મુસાફરો ચીની વિઝાની જોઈ રહ્યા છે રાહ
નેપાળમાં આવેલી ભારતીય એમ્બેસીએ ટૂર ઓપરેટરનો સંપર્ક કર્યો છે. આ ટૂર ઓપરેટર જ આ ગ્રુપના ઈન્ચાર્જ છે. ટૂર ઓપરેટર પાસેથી મળેલી માહિતી મુજબ, ફસાયેલા ભારતીય નાગરિકો હાલમાં કાઠમંડુની હોટલોમાં રોકાયા છે.
માનસરોવરનું ધાર્મિક મહત્વ
માનસરોવર હિન્દુ ધર્મ માટે અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક સ્થળ છે. માનસરોવરની પવિત્ર તળાવને ભગવાન શિવ સાથે જોડવામાં આવે છે. એવી માન્યતા છે કે આ તળાવના કિનારે સ્નાન કરવાથી અને તેનું પાણી પીવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. માનસરોવર તળાવ પાસે આવેલો કૈલાશ પર્વત ભગવાન શિવ અને માતા પાર્વતીનું નિવાસસ્થાન માનવામાં આવે છે.
