પાકિસ્તાનના કરાચી માં શનિવારે સાંજે એક મોટો આતંકી હુમલો થયો હતો. કેટલાક આતંકવાદીઓ સિંઘ રેન્જર્સના મુખ્યાલયની અંદર ઘૂસી ગયા હતા. આ હુમલાને નિષ્ફળ બનાવતી વખતે ચાર સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
આ હુમલા બાદ પાકિસ્તાને ભારત પર આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં નસીહત આપી છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાને બીજા પર આંગળી ઉઠાવવાને બદલે પોતાના ગિરેબાનમાં ઝાંખવું જોઈએ.
વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આરોપો ફગાવ્યા
પાકિસ્તાનના આરોપો અંગે મીડિયાના સવાલોનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “અમે કરાચીની ઘટનાને લઈને ભારત પર પાકિસ્તાનના પાયાવિહોણા આરોપો અહેવાલો જોયા છે. અમે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવીએ છીએ.”
રણધીર જાયસવાલે ઉમેર્યું કે પાકિસ્તાને પોતાની ધરતી પર ચાલી રહેલા આતંકી માળખા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. પાકિસ્તાને સરકારી નીતિ તરીકે આતંકવાદનો સહારો લેવાની પોતાની આદત છોડી દેવી જોઈએ.
જમાત-ઉલ-અહરાર સંગઠને લીધી હુમલાની જવાબદારી
કરાચીમાં થયેલા આ આતંકી હુમલામાં ૬ આતંકવાદીઓ માર્યા ગયા છે અને એક હુમલાખોર જીવતો પકડાયો છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો પ્રતિબંધિત સંગઠન ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) સાથે જોડાયેલા જૂથ ‘જમાત-ઉલ-અહરાર’ દ્વારા કરવામાં આવ્યો છે.
આ ઘટના શનિવારે રાત્રે લગભગ ૮:૩૦ વાગ્યે કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં બની હતી. આતંકીઓએ પહેલા બ્લાસ્ટ કર્યા અને પછી અંધાધૂંધ ફાયરિંગ કરતા સિંઘ રેન્જર્સના મુખ્યાલયમાં ઘૂસી ગયા હતા. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે લગભગ ૯૦ મિનિટ સુધી ભયાનક અથડામણ ચાલી હતી.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો
આ આતંકી હુમલો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીઓ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર આક્ષેપો કરી રહી છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાન TTP આતંકીઓને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડી રહ્યું છે.
ઑક્ટોબર ૨૦cached૪ પછી કરાચીમાં આ પહેલો મોટો આતંકી હુમલો છે. આ પહેલા કરાચી એરપોર્ટ પાસે થયેલા આત્મઘાતી બ્લાસ્ટમાં બે ચાઈનીઝ એન્જિનિયરોના મોત થયા હતા. જેની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ લીધી હતી.
