ચોમાસાની ઋતુમાં દેશભરના મેટ્રો શહેરોથી લઈને નાના ગામડાં સુધી બિસ્માર રસ્તાઓ અને જીવલેણ ખાડા વાહનચાલકો માટે મોટો ખતરો બની રહ્યા છે. તાજેતરમાં બેંગ્લોર ખાતે ખાડામાં બાઈક સ્લિપ થવાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે દિલ્હીમાં ખાડાને લીધે ઈ-રિક્ષા પલટી જતાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આવા કિસ્સાઓમાં સામાન્ય નાગરિકો માટે એ જાણવું જરૂરી છે કે તંત્રની બેદરકારી બદલ પીડિત કે તેના પરિજનોને કાયદેસર રીતે વળતર મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.
જવાબદારી કોની? શું કહે છે કાયદો?
રસ્તાની યોગ્ય જાળવણી કરવી એ સ્થાનિક પાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન), PWD અથવા NHAI જેવી સંબંધિત સરકારી એજન્સીઓની પ્રાથમિક જવાબદારી છે:
-
અપકૃત્ય કાયદો (Law of Torts): સરકારી વિભાગો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેદરકારી (Negligence) સામે આ કાયદા હેઠળ કોર્ટમાં કેસ કરી શકાય છે.
-
ભારતીય બંધારણની કલમ 300: બંધારણની આ કલમ હેઠળ રાજ્ય સરકાર અને તેના તાબા હેઠળની એજન્સીઓ સામે નુકસાની અને વળતરનો દાવો કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓ
ન્યાયતંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓ અને તંત્રની બેદરકારી અંગે મહત્વના સીમાચિહ્નરૂપ ચુકાદા આપવામાં આવ્યા છે:
-
State of Rajasthan vs. Vidyawati: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય પોતાના કર્મચારીઓ કે વહીવટી તંત્રની બેદરકારી માટે જવાબદાર રહેશે.
-
S. Rajaseekaran vs Union of India: અદાલતે ખાડા અને બિસ્માર રસ્તાઓને જાહેર સુરક્ષા માટે ગંભીર જોખમ ગણાવ્યા હતા અને રસ્તાની જાળવણીમાં નિષ્ફળ ગયેલી એજન્સીઓને જવાબદાર ઠેરવી વળતર માટે હકદાર ગણાવ્યા હતા.
વળતર મેળવવા માટેના મુખ્ય કાયદા અને જોગવાઈઓ
કોઈપણ નાગરિક રસ્તાની ખરાબીને લીધે અકસ્માતનો ભોગ બને ત્યારે સંબંધિત સરકારી તંત્ર, PWD કે મ્યુનિસિપલ કોર્પોરેશન સામે યોગ્ય પુરાવાઓ (જેમ કે ઘટનાસ્થળના ફોટો, વીડિયો, મેડિકલ રિપોર્ટ અને FIR) સાથે કોર્ટમાં વળતરનો દાવો કરી શકે છે.
