Una Dalit Case Verdict: ગીર સોમનાથ જિલ્લાના ચકચારી ‘ઉના દલિત કાંડ’ કેસમાં આજે વેરાવળ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસના કુલ 42 આરોપીઓમાંથી કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
આવતીકાલે સજાની જાહેરાત
વેરાવળ કોર્ટે આજે માત્ર દોષિતોના નામ જાહેર કર્યા છે. આ 5 દોષિતોને કેટલી સજા થશે, તેની જાહેરાત કોર્ટ દ્વારા આવતીકાલે એટલે કે મંગળવારે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેસ દરમિયાન 2 આરોપીઓના મોત પણ નિપજ્યા છે.
શું હતો સમગ્ર ઉના કાંડ?
આ ઘટના 11 જુલાઈ, 2016ના રોજ બની હતી. ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સભ્યો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.
-
દલિત સમાજના સાત સભ્યો મરેલી ગાયનું ચામડું કાપી રહ્યા હતા.
-
આરોપીઓએ “ગાયો કેમ કાપો છો?” તેમ કહીને તેમને અટકાવ્યા હતા.
-
પીડિતોને કાર સાથે બાંધીને લાકડીઓ અને પાઇપ વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.
દેશભરમાં પડ્યા હતા ઘેરા પ્રત્યાઘાત
આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો.
-
ગુજરાતમાં હિંસાના 74 બનાવો બન્યા હતા.
-
આ પ્રદર્શનમાં એક પોલીસ કર્મીએ જીવ ગુમાવ્યો હતો.
-
કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન થયું હતું. આ કેસમાં 4 પોલીસ અધિકારીઓ સહિત કુલ 42 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
