પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બળવાખોર સાંસદોએ એક મોટો નિર્ણય લીધો છે. આ તમામ સાંસદો હવે ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી’ (Nationalist Citizens Party)માં વિલય કરવા જઈ રહ્યા છે.
આ વિલય બાદ તેઓ સંસદમાં ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને સમર્થન જાહેર કરશે. આ સમગ્ર મામલે ખુદ સાંસદ કાકોલી ઘોષે સત્તાવાર નિવેદન આપીને પુષ્ટિ કરી છે.
કાકોલી ઘોષ અને સુદીપ બેનર્જીનું મોટું નિવેદન
આ રાજકીય ઉથલપાથલ વચ્ચે બળવાખોર નેતા કાકોલી ઘોષે જણાવ્યું કે, “અમે નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટીમાં વિલય કરી રહ્યા છીએ. અમે એનડીએ (NDA)નો હિસ્સો બનીશું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરીશું.”
TMCના 20 સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને આ અંગે પત્ર સોંપ્યો છે અને સંસદમાં અલગ બેઠક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
બીજી તરફ, સુદીપ બેનર્જીએ જણાવ્યું કે, “અમે નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય ચોક્કસ કર્યો છે, પરંતુ અમે એવો દાવો પણ કરીશું કે અસલી TMC અમે જ છીએ. આ મામલાને અમે જરૂર પડ્યે કોર્ટમાં પણ લઈ જઈશું.”
દિલ્હીમાં થઈ મોટી બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિલય અંગેની અંતિમ ચર્ચા દિલ્હીમાં થઈ હતી. બળવાખોર સાંસદોએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ત્રિપુરાના ભાજપ સાંસદ વિપ્લવ કુમાર દેવ સાથે એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠક બાદ તમામ બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલાના નિવાસ્થાને પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
શું છે નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી?
નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી મુખ્યત્વે અસમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સક્રિય છે. આ પાર્ટીએ ત્રિપુરા વિધાનસભા ચૂંટણી પણ લડી છે. વર્ષ 2023ની ત્રિપુરા ચૂંટણીમાં કૈલાશહર બેઠક પરથી જહાંગીર અલી આ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
TMCના આ 20 બળવાખોર સાંસદોના નામ:
આ રાજકીય બળવામાં સામેલ તમામ 20 સાંસદોની યાદી નીચે મુજબ છે:
-
કાકોલી ઘોષ
-
શતાબ્દી રોય
-
બાપી હલદર
-
શર્મિલા સરકાર
-
પ્રસૂન બંદોપાધ્યાય
-
જગદીશ વર્મા બસુનિયા
-
અસિત કુમાર મલ
-
અરૂપ ચક્રવર્તી
-
રચના બેનર્જી
-
સાયોની ઘોષ
-
ખલીલુર રહેમાન
-
અબુ તાહિર ખાન
-
યુસુફ પઠાણ
-
મિતાલી બાગ
-
માલા રોય
-
કાલીપદ સોરેન
-
દીપક અધિકારી (દેવ)
-
જૂન માલિયા
-
પાર્થ ભૌમિક
-
સુદીપ બંદોપાધ્યાય
TMCના આ આકરા પગલાથી પશ્ચિમ બંગાળ સહિત દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મમતા બેનર્જી માટે આ એક બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
