અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગની કામગીરી સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. તંત્ર દ્વારા કોઈપણ પૂર્વ સૂચના કે વળતર ચૂકવ્યા વિના ખેતરોની વચ્ચેથી પાઈપલાઈન નાખવાની મનસ્વી નીતિ સામે અન્નદાતાઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.
ખેડૂતોના ભારે વિરોધને પગલે સ્થિતિ તંગ બની ગઈ હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો.
કેમ શરૂ થયો વિવાદ? ખેડૂતોનો તંત્ર પર ‘દમન’નો આક્ષેપ
મળતી માહિતી મુજબ, ચાંગોદર, ચાચારવાડી વાસણા અને ગેલોફ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા એક મોટું આયોજન કરાયું હતું. આ પાણીના નિકાલ માટે ડરણ ગામના ખેતરોની વચ્ચેથી પાઈપલાઈન પસાર કરવાની હતી.
-
સંમતિ વિના કામગીરી: સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગે તેમને કોઈ નોટિસ આપી નહોતી.
-
કોઈ વળતર નહીં: જમીન આપવા બદલ કોઈ વળતરની વાત પણ કરવામાં આવી નહોતી.
-
તંત્રએ ખેડૂતોની સંમતિ વિના જ સીધા ખેતરોમાં જેસીબી અને પાઈપલાઈન ઉતારી દેતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોએ તેને સરકારી તંત્રનું દમન ગણાવ્યું હતું.
કલાકો સુધી ભારે હોબાળો, સાણંદ-ચાંગોદર પોલીસ દોડી આવી
પોતાની કિંમતી જમીન બચાવવા માટે આખું ગામ અને ખેડૂતો એક થઈને ખેતરોમાં એકઠા થયા હતા. ખેડૂતો દ્વારા કલાકો સુધી સ્થળ પર જ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે તાત્કાલિક સાણંદ અને ચાંગોદર પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસની હાજરી વચ્ચે પણ ખેડૂતો પોતાની માંગ પર અડગ રહ્યા હતા.
અધિકારીઓએ આજીજી કરવી પડી, હાલ પૂરતું કામ બંધ
વિવાદ વધુ વકરતા સાણંદ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આક્રોશિત ખેડૂતોને શાંત પાડવા માટે એક તબક્કે સરકારી અધિકારીઓ આજીજી અને સમજાવટના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા.
અંતે ખેડૂતોની એકતા અને ભારે વિરોધ સામે નમતું જોખીને સિંચાઈ વિભાગને હાલ પૂરતી પાઈપલાઈન નાખવાની કામગીરી બંધ રાખવાની ફરજ પડી છે. ખેડૂતોએ સ્પષ્ટ ચિમકી આપી છે કે જ્યાં સુધી ન્યાય અને યોગ્ય વળતર નહીં મળે, ત્યાં સુધી તેઓ પોતાના ખેતરમાંથી લાઈન પસાર કરવા દેશે નહીં.
<
