વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઉઝબેકિસ્તાન ના મહત્વપૂર્ણ રાજદ્વારી પ્રવાસે છે. રવિવારે તેમણે ઉઝબેકિસ્તાન ના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ સન્માન ‘ઓલી દરાજલી દોસ્તલિક’ (Order of Dostlik) થી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન સ્વીકારતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેઓ આ એવોર્ડ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના અતૂટ મૈત્રીપૂર્ણ સંબંધોને સમર્પિત કરે છે. સાથે જ તેમણે ઉઝબેકિસ્તાનની આઝાદીની ૩૫મી વર્ષગાંઠ નિમિત્તે ત્યાંના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
વ્યૂહાત્મક ભાગીદારીના ૧૫ વર્ષ અને નવા લક્ષ્યો બેઠક દરમિયાન વડાપ્રધાને નોંધ્યું હતું કે, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીના ૧૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. હવે બંને દેશો પોતાના સંબંધોને ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ (Comprehensive Strategic Partnership) ના સ્તરે લઈ જઈ રહ્યા છે. સહયોગને વધુ સુદ્રઢ બનાવવા માટે બંને દેશોના વિદેશ મંત્રીઓના સ્તરે એક વિશેષ સંકલન પરિષદ (Coordination Council) રચવાનો નિર્ણય લેવાયો છે.
યુરેનિયમ સપ્લાય અને આર્થિક સહયોગ આ પ્રવાસ દરમિયાન ભારતના ઊર્જા ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બંને દેશો વચ્ચે યુરેનિયમની લાંબા ગાળાની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવા પર સહમતિ બની છે. આ ઉપરાંત:
-
દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત ‘બિઝનેસ સમિટ’નું આયોજન થશે.
-
ઉઝબેકિસ્તાનના ‘ન્યૂ તાશકંદ’ અને ગુજરાતના ‘ગિફ્ટ સિટી’ (GIFT City) વચ્ચે ટેકનોલોજી તથા નાણાકીય વિકાસમાં પરસ્પર સહયોગ વધારાશે.
-
બંને દેશો વચ્ચે ત્રણ ‘સિસ્ટર-સિટી’ અને ‘સિસ્ટર-સ્ટેટ’ કરારો પણ કરવામાં આવ્યા છે.
દ્વિપક્ષીય વેપાર ૧ અબજ ડોલરને પાર ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે જણાવ્યું હતું કે, ગત વર્ષે બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર પ્રથમ વખત ૧ અબજ ડોલરના આંકડાને વટાવી ગયો છે. બંને દેશો વચ્ચે સંયુક્ત સાહસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ બંને દેશો વચ્ચે દર સપ્તાહે આશરે ૧૪ સીધી ફ્લાઇટ્સ કાર્યરત છે. ભારતીય પ્રવાસીઓ માટે શરૂ કરાયેલી ૩૦ દિવસની ફ્રી વિઝા સુવિધાથી પ્રવાસન, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને વ્યવસાયિક સંબંધોને વધુ વેગ મળશે.
