દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે સતત ૨૬ દિવસ સુધી અનશન આંદોલન ચલાવનારા જાણીતા પર્યાવરણ કાર્યકર્તા અને શિક્ષણવિદ્ સોનમ વાંગચુકે તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP)ના અગ્રણી નેતાઓ અંગે મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાંગચુકે CJP સાથે જોડાયેલા અભિજિત દીપક, સૌરવ દાસ અને આશુતોષ રંકા અંગે નિખાલસતાથી પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ લોકોમાં રાજકીય મહત્વકાંક્ષા હોવી સ્વાભાવિક છે અને તેઓ કોઈ સંત નથી.
રાજકીય મહત્વકાંક્ષા હોવી કોઈ ગુનો નથી વાંગચુકે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, આંદોલન સમયે ઘણા લોકો એવો દાવો કરતા હતા કે આ નેતાઓ કોઈ ચોક્કસ રાજકીય પક્ષ કે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. ભૂતકાળમાં કોણે શું લખ્યું કે કહ્યું તેને મુદ્દો બનાવવાને બદલે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે, “લોકો પૂછે છે કે શું CJPના નેતાઓમાં રાજકીય મહત્વકાંક્ષા છે? તો મારો જવાબ છે—હા, ચોક્કસ છે. મેં તેમને નજીકથી જોયા છે અને હું સ્પષ્ટ પારખી શકું છું. તેઓ કોઈ સંત નથી કે તેમને જીવનમાં કંઈ જોઈતું જ ન હોય. દરેક વ્યક્તિમાં રાજકીય મહત્ત્વકાંક્ષા હોઈ શકે છે અને તેમાં કંઈ ખોટું પણ નથી.”
પ્લેટફોર્મની પવિત્રતા અને તટસ્થતા જાળવવી જરૂરી વાંગચુકે આ સાથે CJP પ્લેટફોર્મના ભવિષ્ય અંગે પણ મહત્વની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે જો આ મંચને મૂળરૂપે એક રાજકીય પક્ષ તરીકે શરૂ કરવામાં આવ્યો ન હોય, તો તેની નૈતિક પવિત્રતા અને વિશ્વસનીયતા જાળવી રાખવી ખૂબ જરૂરી છે. જો આ પ્લેટફોર્મ તટસ્થ રહેશે અને તમામ રાજકીય પક્ષો પર જનહિત માટે દબાણ બનાવતા પ્રેશર ગ્રૂપ (Pressure Group) તરીકે કામ કરશે તો સમાજમાં તેનું મોટું પ્રદાન રહેશે અને લોકોનો વિશ્વાસ ટકી રહેશે. ભવિષ્યમાં વ્યક્તિગત રીતે કોઈ પક્ષમાં જોડાવું કે નવો પક્ષ સ્થાપવો એ અલગ બાબત છે.
આંદોલનને વિદ્યાર્થી ચળવળ તરીકે જ જોવામાં આવે પર્યાવરણ કાર્યકર્તાએ ભારપૂર્વક કહ્યું કે સામાન્ય જનતાએ આ સમગ્ર પહેલને ભાજપ, કોંગ્રેસ કે આપ સાથે જોડીને જોઈ નથી, પરંતુ એક શુદ્ધ વિદ્યાર્થી આંદોલન તરીકે આવકારી છે. તેથી તેને અકાળે રાજકીય રંગ આપવો યોગ્ય નથી. તેમણે અંતમાં ઉમેર્યું કે, “ઘણા લોકો મને કહેતા હતા કે અમે તમને જોઈને જોડાયા છીએ, અમે CJP નેતાઓને ઓળખતા પણ નહોતા. ભવિષ્યમાં આ લોકો ભ્રષ્ટ નહીં થાય કે રાજકીય સ્વાર્થ નહીં સાધે તેની કોઈ ગેરંટી હું આપી શકતો નથી, કારણ કે સમય સાથે શું થશે તે કોઈ કહી શકતું નથી.”
