નવી દિલ્હી: લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે 17 માર્ચના રોજ એક મહત્વનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરીમાં બજેટ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવેલા 8 સાંસદોનું સસ્પેન્શન હવે રદ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ રદ કરવા પાછળ પક્ષ અને વિપક્ષ વચ્ચે થયેલું સમાધાન અને કેટલીક કડક શરતો જવાબદાર છે.
શા માટે થયા હતા સસ્પેન્ડ?
ફેબ્રુઆરીમાં બજેટ સત્ર દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો હતો.
-
આ 8 સાંસદોએ લોકસભામાં અશોભનીય વર્તન કર્યું હતું.
-
આરોપ હતો કે તેઓએ સ્પીકર ઓમ બિરલા પર કાગળો ફેંક્યા હતા.
-
અનુશાસનહીનતાના કારણે તેઓને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સ્પીકરે મૂકી આ ખાસ શરતો
સસ્પેન્શન રદ કરતા પહેલા સ્પીકરે તમામ પક્ષો સાથે બેઠક કરી હતી. સ્પીકરે ગૃહની મર્યાદા જાળવવા માટે કેટલાક કડક નિર્દેશ આપ્યા છે:
-
AI ફોટો પર પ્રતિબંધ: સંસદ પરિસરમાં AI જનરેટેડ ફેક ઈમેજ કે ફોટોનો ઉપયોગ કરવો નહીં.
-
અપમાનજનક પ્લેકાર્ડ: કોઈ પણ અપમાનજનક સૂત્રો કે પ્લેકાર્ડ પ્રદર્શિત કરવા નહીં.
-
ગૃહની ગરિમા: તમામ સાંસદોએ ગૃહની પરંપરા અને પવિત્રતા જાળવવા સહયોગ આપવો પડશે.
કિરેન રિજિજૂએ રજૂ કર્યો પ્રસ્તાવ
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ ગૃહમાં સાંસદોનું સસ્પેન્શન રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિપક્ષ તરફથી સુપ્રિયા સુલેએ પણ આ અંગે સકારાત્મક વલણ અપનાવતા કહ્યું કે, “અમે અહીં દેશની સેવા કરવા આવ્યા છીએ, અપશબ્દો બોલવા નહીં. અમે તમારી સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.”
મતદાન બાદ લેવાયો નિર્ણય
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પક્ષ અને વિપક્ષ બંનેની વાતો સાંભળી હતી. ત્યારબાદ સસ્પેન્શન રદ કરવાના પ્રસ્તાવ પર ગૃહમાં મતદાન થયું હતું. પ્રસ્તાવ બહુમતીથી પસાર થતા આઠેય સાંસદોનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
