ભારતમાં સોનાની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. સરકારે સોના પર કસ્ટમ ડ્યુટી વધાર્યા પછી દેશમાં ગોલ્ડ ઇમ્પોર્ટ (સોનાની આયાત) લગભગ 70 ટકા જેટલો ઘટી ગયો છે. પહેલા દેશમાં દર મહિને 75 થી 100 ટન સોનું આયાત કરવામાં આવતું હતું. હવે તે ઘટીને માત્ર 25 થી 30 ટન રહી ગયું છે. સરકારના આ એક નિર્ણયથી આખા ગોલ્ડ માર્કેટનું સમીકરણ બદલાઈ ગયું છે.
કસ્ટમ ડ્યુટી 6% થી વધારીને 15% કરાઈ
કેન્દ્ર સરકારે દેશના વિદેશી હૂંડિયામણ (Foreign Exchange Reserve) ને બચાવવા માટે આ પગલું ભર્યું છે. સરકારે ગત 13 મેથી સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દીધી હતી. ટેક્સમાં આટલો મોટો વધારો થવાને કારણે વિદેશથી સોનું મંગાવવું ખૂબ મોંઘું થઈ ગયું છે. આ કારણે ઝવેરીઓ અને આયાતકારોએ સોનાની ખરીદી ખૂબ મર્યાદિત કરી દીધી છે.
વજન ઘટ્યું પણ કિંમતમાં તેજી આવી
વજનની દ્રષ્ટિએ સોનાની આયાત ભલે 70 ટકા ઘટી હોય, પરંતુ વૈશ્વિક બજારમાં સોનાના વધતા ભાવોને કારણે કિંમતની દ્રષ્ટિએ વધારો થયો છે. મે મહિનામાં ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ વાર્ષિક ધોરણે 34 ટકા વધીને 3.41 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. જ્યારે એપ્રિલ-મે દરમિયાન તે 60.14 ટકા વધીને 9.04 અબજ ડૉલર રહી છે.
સરકારે કેમ વધારી કસ્ટમ ડ્યુટી?
ચીન પછી ભારત દુનિયામાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. ભારતમાં ખાસ કરીને લગ્નો અને તહેવારોમાં સોનાની ભારે માંગ રહે છે. સોનું ખરીદવા માટે દેશનું ઘણું વિદેશી હૂંડિયામણ બહાર જતું રહે છે. ભારતના કુલ આયાતમાં સોનાનો હિસ્સો 5 ટકાથી વધુ છે. આ બિનજરૂરી ખર્ચ પર લગામ લગાવવા માટે સરકારે કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો હતો.
< /p>
