અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી તબીબી જગત માટે એક સરાહનીય Ahmedabad News સામે આવ્યા છે. અહીં બાળ સર્જરી વિભાગના તબીબોએ ૨.૫ વર્ષના માસૂમ બાળક પર જટિલ ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ કરીને તેને નવજીવન આપ્યું છે. સાણંદના મંતવ્ય નામના બાળકને જન્મથી જ અન્નનળી ન હોવાની ગંભીર તબીબી ખામી હતી.
જન્મથી જ હતી અન્નનળીની ખામી
સાણંદના શૈલેષભાઈ પટેલના પુત્ર મંતવ્યનો જન્મ થયો ત્યારે તેને અન્નનળી જ નહોતી. આ સ્થિતિમાં બાળક મોઢેથી ખોરાક કે દૂધ ગળી શકતું નહોતું. જન્મના બીજા દિવસે પેટમાં ટ્યુબ મૂકીને પ્રવાહી આહાર આપવાની પ્રાથમિક સર્જરી કરવામાં આવી હતી.
હોજરીમાંથી બનાવી નવી અન્નનળી
બાળકનું વજન યોગ્ય થતાં ડૉ. રાકેશ જોશી અને તેમની નિષ્ણાત ટીમે આ જટિલ ઓપરેશન હાથ ધર્યું હતું.
તબીબોએ બાળકના પેટ (હોજરી)ના ભાગનો ઉપયોગ કરીને નવી અન્નનળી બનાવી હતી. સર્જરીના ૨૩મા દિવસે બાળકે પોતાના જીવનમાં પહેલીવાર મોઢેથી ખોરાક લીધો હતો.
ખાનગીમાં લાખોનો ખર્ચ, સિવિલમાં નિઃશુલ્ક ઇલાજ
આવી દુર્લભ ખામી દર ૨,૫૦૦ થી ૪,૦૦૦ બાળકોમાંથી એકમાં જોવા મળે છે. ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી અત્યંત ખર્ચાળ હોય છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યું છે. બાળકના માતા-પિતાએ સિવિલના ડોક્ટરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
