Punjab Crime: પંજાબના અમૃતસરમાં માનવતાને શરમાવે તેવો એક સામે આવ્યો છે. અહીં અજનાલાના જસૌર ગામમાં એક ડેરી ફાર્મના માલિકોએ પ્રકાશ નામના યુવકને ૧૮ વર્ષ સુધી બંધક મજૂર બનાવીને રાખ્યો હતો.
યુવકને પશુઓ સાથે લોખંડની સાંકળોથી બાંધીને રાખવામાં આવતો હતો. તેને દિવસમાં માત્ર બે વાર જ ખાવાનું આપવામાં આવતું હતું.
૨૦૦૩માં ઘર છોડીને નીકળ્યો હતો યુવક
વર્ષ ૨૦૦૩માં કૌટુંબિક મનમુટાવના કારણે પ્રકાશ તામિલનાડુ સ્થિત પોતાનું ઘર છોડીને ભાગી ગયો હતો. રખડતા-ભટકતા તે પંજાબ પહોંચી ગયો હતો.
ત્યાં તેને ડેરી ફાર્મ પર બંધક બનાવીને અમાનવીય અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા.
૨૦૨૨માં એનજીઓ દ્વારા મુક્તિ
વર્ષ ૨૦૨૨માં ‘અપના ફરજ સેવા સોસાયટી’ના પાલ સિંહ ખરોદને આ વાતની જાણ થઈ. તેમણે પ્રકાશને રેસ્ક્યૂ કરીને મુક્ત કરાવ્યો હતો.
હરિયાણા સચિવાલયના નિવૃત્ત કર્મચારી સુભાષ ચંદ્રે તેની સારસંભાળ રાખી હતી. શરૂઆતમાં પ્રકાશ બોલી શકતો નહોતો, પરંતુ ધીમે ધીમે સારવાર બાદ તેણે પોતાના ઘર વિશે માહિતી આપી હતી.
તામિલનાડુમાં માતા સાથે થયો મિલાપ
સુભાષ ચંદ્રે તામિલનાડુના પત્રકાર મિત્રની મદદથી પ્રકાશના પરિવારની શોધખોળ કરી હતી.
હવે પ્રકાશ તામિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલા પોતાના ગામે પહોંચી ગયો છે. ૨૩ વર્ષ પછી પોતાના પુત્રને જોઈને તેની વૃદ્ધ માતા સુંદરી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.
માતાએ દોષિતોને સજા આપવાની માંગ કરી
પોતાના પુત્ર પર થયેલા અત્યાચારો વિશે જાણીને માતાનું કાળજું કંપી ગયું હતું.
માતાએ કહ્યું કે જે લોકોએ તેના પુત્રને આટલા વર્ષો સુધી બંધક બનાવીને અત્યાચાર ગુજાર્યો છે, તેમને ક્યારેય માફ કરી શકાય નહીં. તેમણે દોષિતોને સખતમાં સખત સજા આપવાની માંગ કરી
