કેન્દ્ર સરકારે વિમાની ઇંધણ (ATF)ના ભાવ વધારા મામલે મોટો યુ-ટર્ન લીધો છે. 1 એપ્રિલ, 2026ના રોજ ATFના ભાવમાં 100 ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો હતો. ઇતિહાસમાં પહેલીવાર વિમાનના ઇંધણ ની કિંમત પ્રતિ કિલોલીટર 2 લાખ રૂપિયાને પાર કરી ગઈ હતી. دિલ્હીમાં જે ભાવ 1 માર્ચે ₹96,638 હતો, તે વધીને રેકોર્ડબ્રેક ₹2.07 લાખ થઈ ગયો હતો.
એરલાઇન્સને કેમ મળી ઈંધણ રાહત?
મધ્ય પૂર્વમાં યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે એરલાઇન્સ ઉદ્યોગ મુશ્કેલીમાં હતો. સરકારનું કહેવું છે કે હવાઈ ભાડાં ન વધે અને પ્રવાસીઓને મોંઘી ટિકિટોથી બચાવી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે. જો ઈંધણ ના ભાવ ન ઘટ્યા હોત, તો વેકેશનની સીઝનમાં હવાઈ મુસાફરી સામાન્ય લોકોની પહોંચ બહાર જતી રહી હોત. હવે સરકારે ભાવ ઘટાડીને આશરે ₹1.04 લાખ પ્રતિ કિલોલીટર કરી નાખ્યા છે.
શું છે સરકારની બેવડી નીતિ?
એક તરફ એરલાઇન્સ કંપનીઓને રાહત આપવામાં આવી છે. બીજી તરફ, સામાન્ય માણસ અને પરિવહન ક્ષેત્ર માટે અનિવાર્ય એવા ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ઉદ્યોગો માટે ડીઝલની કિંમત ₹137 પ્રતિ લિટર સુધી પહોંચી છે.
-
મોંઘવારીનો માર: ડીઝલ મોંઘું થવાને કારણે શાકભાજી, અનાજ અને દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થયો છે. આની સીધી અસર મધ્યમ વર્ગના ખિસ્સા પર પડી રહી છે.
-
ઔદ્યોગિક ડીઝલમાં તોતિંગ વધારો: સરકારી તેલ કંપનીઓએ ઔદ્યોગિક વપરાશ માટેના ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹28.22નો વધારો કર્યો છે. આ વધારો 25 ટકાથી વધુ છે.
સામાન્ય નાગરિક ગ્રાહક નથી?
સરકાર આ નિર્ણયને ‘કન્ઝ્યુમર શીલ્ડ’ ગણાવે છે. પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું ‘ગ્રાહક’ એટલે માત્ર વિમાનમાં બેસનારો વર્ગ જ? શું ડીઝલના વધતા ભાવથી પરેશાન સામાન્ય નાગરિક ગ્રાહક નથી? જો વિમાની ઈંધણમાં રાતોરાત આટલો મોટો ઘટાડો થઈ શકતો હોય, તો ડીઝલ પરના ટેક્સમાં રાહત કેમ આપવામાં આવતી નથી.
