અમદાવાદ વિમાન અકસ્માત મામલે એર ઇન્ડિયાએ મોટો ખુલાસો કર્યો છે. એરલાઇને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની પુત્રી રાધિકા મિશ્રાના આરોપોને સત્તાવાર રીતે ફગાવી દીધા છે. એર ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે પીડિત પરિવારો પર અંતિમ વળતર સ્વીકારવા માટે કોઈ જ દબાણ કરવામાં આવી રહ્યું નથી.
રાધિકા મિશ્રાએ લગાવ્યા હતા ગંભીર આરોપ
રાધિકા મિશ્રાએ ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે એર ઇન્ડિયા પીડિત પરિવારો પર વળતરના દસ્તાવેજો પર સહી કરવા દબાણ કરી રહી છે. અકસ્માતનું સાચું કારણ સામે આવે તે પહેલાં જ પરિવારો પાસેથી કાનૂની રીતે કેસ કરવાનો અધિકાર છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
એર ઇન્ડિયાનો જવાબ: તપાસ રિપોર્ટ સુધી રાહ જોઈ શકાય છે
આ આરોપોના જવાબમાં એર ઇન્ડિયાએ જણાવ્યું કે કોઈ પણ શોકગ્રસ્ત પરિવાર પર દબાણ નથી કરાયું. વળતર સ્વીકારવા માટે કોઈ સમયસીમા નક્કી નથી. પીડિત પરિવારો ઈચ્છે તો એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના અંતિમ તપાસ રિપોર્ટ સુધી રાહ જોઈ શકે છે. રિપોર્ટની રાહ જોવા છતાં તેમના કાનૂની અધિકારો સંપૂર્ણ સુરક્ષિત રહેશે.
પરિવારોને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાઈ
એરલાઇને જણાવ્યું કે ટાટા ગ્રુપ દ્વારા સ્થાપિત ‘AI-171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ’ દ્વારા લગભગ તમામ પરિવારોને 1 કરોડ રૂપિયાની સખાવતી રકમ (એક્સ-ગ્રેશિયા) ચૂકવી દેવામાં આવી છે. આ આર્થિક સહાય મુખ્ય વળતર પ્રક્રિયાથી તદ્દન અલગ છે.
અકસ્માતમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત 260 લોકોના મોત થયા હતા
આ ભયાનક અકસ્માત એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 (બોઇંગ 787 ડ્રીમલાઇનર) સાથે થયો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં સવાર હતા. તેઓ પોતાની પુત્રીને મળવા જઈ રહ્યા હતા.
ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડોમાં વિમાન અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ કેમ્પસ પર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો અને જમીન પર હાજર 19 લોકો મળીને કુલ 260 લોકોના કરુણ મોત નીપજ્યા હતા.
<
