ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe નો ઉપયોગ કરતા કરોડો યુઝર્સ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. જો તમારું ફોનપે વોલેટ લાંબા સમયથી બંધ પડ્યું છે, તો હવે તમારે ચાર્જ ચૂકવવો પડી શકે છે. કંપનીએ પોતાની વોલેટ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી નિષ્ક્રિય વોલેટ પર મેઇન્ટેનન્સ ફી વસૂલવામાં આવશે. મોટાભાગના લોકો માત્ર UPI પેમેન્ટનો જ ઉપયોગ કરે છે, તેથી આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
365 દિવસ વોલેટ વાપર્યું નથી તો લાગશે ચાર્જ
નવી ગાઇડલાઇન મુજબ, જો કોઈ ફોનપે વોલેટથી સતત 365 દિવસ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થાય, તો તેને નિષ્ક્રિય (Inactive) માનવામાં આવશે. આવા વોલેટ પર કંપની મેઇન્ટેનન્સ ફી વસૂલશે. ખાસ નોંધો કે માત્ર ફોનપે એપ ખોલવી કે બેંક ખાતાથી UPI પેમેન્ટ કરવું તે વોલેટ એક્ટિવિટી ગણાશે નહીં. વોલેટને ચાલુ રાખવા માટે વોલેટમાંથી જ ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી રહેશે.
દર ત્રણ મહિને કપાશે 100 રૂપિયા
કંપનીના નવા નિયમ મુજબ, નિષ્ક્રિય વોલેટ પર 100 રૂપિયા સુધીની મેઇન્ટેનન્સ ફી લગાવી શકાય છે. જોકે, ચાર્જ કાપતા પહેલા યુઝરને 15 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવશે. જો તમારા વોલેટમાં 100 રૂપિયા કે તેથી વધુ બેલેન્સ હશે તો પૂરી ફી કાપી લેવામાં આવશે. જો બેલેન્સ 100 રૂપિયાથી ઓછું હશે, તો જેટલા પૈસા હશે તેટલા જ કપાશે અને બેલેન્સ શૂન્ય થઈ જશે. કંપની વોલેટ બેલેન્સને માઈનસ (Negative) માં નહીં લઈ જાય.
વોલેટ ચાર્જથી કેવી રીતે બચવું?
આ ચાર્જથી બચવાનો રસ્તો ખૂબ જ સરળ છે. યુઝર્સે સમય-સમય પર પોતાના ફોનપે વોલેટનો ઉપયોગ કરવો પડશે. વોલેટમાં પૈસા એડ કરવા, કોઈને પેમેન્ટ કરવું અથવા વોલેટ બેલેન્સનો ઉપયોગ કરીને રિચાર્જ કરવાથી તમારું વોલેટ એક્ટિવ રહેશે. આમ કરવાથી તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
અન્ય એપ્સમાં પણ છે આ નિયમ
ડિજિટલ પેમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારનો ચાર્જ લગાવનાર ફોનપે પહેલી કંપની નથી. આ પહેલા MobiKwik અને Airtel Payments Bank પણ આવો નિયમ લાગુ કરી ચૂક્યા છે. એરટેલ પેમેન્ટ્સ બેંકે પહેલા નિષ્ક્રિય વોલેટ પર મેઇન્ટેનન્સ ચાર્જ લગાવ્યો હતો અને બાદમાં તેને એન્યુઅલ મેઇન્ટેનન્સ ચાર્જ (AMC) માં બદલી નાખ્યો હતો. મોબીક્વિક પણ લાંબા સમયથી બંધ પડેલા વોલેટ પર ફી વસૂલે છે.
< /p>
