વલસાડ જિલ્લાના મધુબન ડેમ અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાને કારણે ભારે અફડાતફડી મચી ગઈ હતી. ડેમ તૂટ્યો હોવાની ખોટી માહિતી મળતા ગ્રામજનો ભયના માર્યા ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે ભાગવા લાગ્યા હતા. જોકે, વલસાડ કલેક્ટર અને પોલીસ તંત્રએ તાત્કાલિક સ્થિતિ સંભાળી લીધી હતી.
ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત: વહીવટી તંત્ર
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરે સત્તાવાર સ્પષ્ટતા કરી છે:
-
મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
-
ડેમની દિવાલોમાં કોઈ તિરાડ કે નુકસાન થયું નથી.
-
કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ ભ્રામક અફવા ફેલાવવામાં આવી હતી.
પોલીસે માઈકથી કરવું પડ્યું એનાઉન્સમેન્ટ
લોકોમાં ફેલાયેલા ડરને દૂર કરવા માટે પોલીસ તંત્ર તરત જ એક્શનમાં આવ્યું હતું. પોલીસે ગામડાઓમાં ફરીને માઈક દ્વારા જાહેરાત કરી હતી.
પોલીસે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને પોતાના ઘરે પરત ફરવા વિનંતી કરી હતી.
પાણીની આવક વધતા ખોલાયા હતા દરવાજા
તંત્રના જણાવ્યા અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. કપરાડા અને ધરમપુર પંથકમાં વરસાદને કારણે ડેમમાં પાણીની વિપુલ આવક થઈ હતી.
જળસપાટી નિયંત્રણમાં રાખવા માટે નિયમ મુજબ તબક્કાવાર ગેટ ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું.
નાગરિકોને તંત્રની અપીલ
વહીવટી તંત્રએ લોકોને સોશિયલ મીડિયા પરની અફવાઓથી ન ગભરાવા અપીલ કરી છે. ઘર છોડીને ભાગવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
