મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો ગરમાવો આવી ગયો છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લઈને એક ખૂબ જ ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. શિરડીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઠાકરેએ જણાવ્યું કે, જો દેવેન્દ્ર ફડણવીસ દેશના વડાપ્રધાન (PM) બનવાની ઈચ્છા રાખે છે, તો તેઓ તેમનું સમર્થન કરશે.
‘હું ફડણવીસનો દુશ્મન નહીં, હિતેચ્છુ છું’
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, “જો ફડણવીસ એવું વિચારે છે કે હું તેમનો દુશ્મન છું, તો તે ખોટું છે. હું તેમનો હિતેચ્છુ છું અને આજે તેમના મનની વાત કહી રહ્યો છું.” તેમણે ઉમેર્યું કે જો મહારાષ્ટ્રની કોઈ વ્યક્તિ વડાપ્રધાન બનવા જઈ રહી હોય, તો તેમની પાર્ટી ચોક્કસપણે તેને ટેકો આપશે.
અમિત શાહ પર લગાવ્યો મોટો આરો
ઓપરેશન ટાઈગર કે ઓપરેશન દેવેન્દ્ર? ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો છે કે ભાજપની અંદર જ એવી યોજનાઓ બની રહી છે જેથી વર્ષ 2029માં ફડણવીસ PM પદની રેસમાંથી બહાર થઈ જાય.
તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ આખો પ્લાન ઘડ્યો છે. શિવસેના (UBT) ના 6 સાંસદો તૂટીને એકનાથ શિંદે જૂથમાં ગયા, તેની પાછળ પણ અમિત શાહનો જ હાથ હોવાનો ઠાકરેએ દાવો કર્યો છે. આ પ્લાન પાછળનો હેતુ સીએમ ફડણવીસનું કદ નાનું કરવાનો છે.
ઠાકરેએ કટાક્ષ પણ કર્યો
સમર્થનની વાત કરવાની સાથે ઠાકરેએ ફડણવીસ પર ટોણો પણ માર્યો હતો. તેમણે કહ્યું કે જો ફડણવીસ પોતે પીએમ પદ માટે દાવેદારી જાહેર કરશે, તો તે ભાજપમાં તેમના માટે ‘રાજકીય આત્મહત્યા’ સમાન સાબિત થશે. તે પછી તે પોતાની પાર્ટીમાં ટકી પણ નહીં શકે.
દેવેન્દ્ર ફડણવીસે આપ્યો વળતો જવાબ
બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ તમામ અટકળોને ફગાવી દીધી છે. ફડણવીસે જણાવ્યું કે તેમની પાસે મહારાષ્ટ્રની 14 કરોડ જનતા અને ભાજપના વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ છે. તેથી કોઈ પણ વ્યક્તિ તેમની પાંખો કાપી શકે તેમ નથી.
