મેન્યુઅલ સ્કેવેન્જિંગ (હાથથી ગટર સફાઈ) ને લઈને સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન થઈ રહેલા કામદારોના મોત અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવોને શો-કોઝ નોટિસ ફટકારી છે.
જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચે આ પાંચેય રાજ્યો પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
અદાલતી અવમાનનાની કાર્યવાહીની આપી ચેતવણી
સુપ્રીમ કોર્ટે શો-કોઝ નોટિસ પાઠવીને પૂછ્યું છે કે આદેશોનું પાલન ન કરવા બદલ તેમની સામે સુઓ મોટો અદાલતી અવમાનના (Contempt of Court) ની કાર્યવાહી શા માટે ન કરવામાં આવે? કોર્ટે કહ્યું કે અગાઉના કડક આદેશો છતાં મૃત્યુની ઘટનાઓ અટકી નથી, જે હવે બિલકુલ ચલાવી લેવાય નહીં.
ડો. બલરામ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે આ નિર્દેશ આપ્યો હતો.
સંસદના આંકડા જોઈને કોર્ટ આકરા પાણીએ
સિનિયર એડવોકેટ કે. પરમેશ્વરે અદાલતને સંસદમાં રજૂ કરાયેલા આંકડા આપ્યા હતા. આ આંકડા મુજબ વર્ષ 2024માં 54 અને વર્ષ 2025માં 46 કામદારોના મોત નોંધાયા છે.
જેમાં વર્ષ 2024માં મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 13 અને તામિલનાડુમાં 12 કામદારોએ જીવ ગુમાવ્યો હતો. આ આંકડા સાંભળીને જસ્ટિસ કુમારે ટિપ્પણી કરી હતી કે, “તમે કન્ટ્રાક્ટરો પર દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરો, હવે અમે જવાબદારી નક્કી કરીશું.”
વળતર અને પ્રતિબંધના આદેશોનું ઉલ્લંઘન
ઓક્ટોબર 2023માં સુપ્રીમ કોર્ટે ગટર સફાઈ દરમિયાન થતા મોત પર વળતરની રકમ વધારીને રૂપિયા 30 લાખ કરી હતી. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં 6 મેટ્રોપોલિટન શહેરોમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. છતાં આ ઘટનાઓ સતત બની રહી હોવાથી કોર્ટે તમામ રાજ્યો પાસેથી 4 અઠવાડિયામાં એફિડેવિટ દ્વારા જવાબ માંગ્યો છે.
