દિલ્હીના જંતર-મંતર પર NEET પરીક્ષાની ગેરરીતિઓ વિરુદ્ધ 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે બળજબરીથી હટાવી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ ઘટના બાદ દેશભરમાં એક મોટી કાનૂની અને નૈતિક ચર્ચા જાગી છે. સવાલ એ ઊભો થયો છે કે શું લોકશાહીમાં કોઈ વ્યક્તિને તેની મરજી વિરુદ્ધ ઉપવાસ પરથી હટાવી શકાય?
ભારતીય બંધારણ અને અદાલતોના ચુકાદાઓ આ બાબતે શું કહે છે, ચાલો વિગતે સમજીએ.
સોનમ વાંગચુક મામલે પોલીસ અને કાયદાનું વલણ
દિલ્હી પોલીસનું કહેવું છે કે તેમણે આ કાર્યવાહી હાઈકોર્ટના નિર્દેશોના આધારે કરી છે. અદાલતોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે ‘દરેક નાગરિકનું જીવન કિંમતી છે’. જો ભૂખ હડતાળ પર બેઠેલી વ્યક્તિની તબિયત વધુ લથડે, તો તેના જીવનની રક્ષા માટે તેને હોસ્પિટલ ખસેડી શકાય છે.
બીજી તરફ, વાંગચુકના પત્ની ગીતાંજલિએ ચિંતા વ્યક્ત કરી છે કે દર્દી સભાન અવસ્થામાં હોય ત્યાં સુધી તેની લેખિત સંમતિ વિના બળજબરીથી કોઈ દવા કે ગ્લુકોઝ આપી શકાતું નથી. ડૉક્ટરો પણ દર્દીની મરજીને માન આપવા બંધાયેલા છે.
ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ કેસ (2024)
વર્ષ 2024 માં 70 વર્ષથી વધુ ઉંમરના ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલે 20 દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી. પોલીસે તેમને પણ બળજબરીથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને પંજાબ સરકારને મહત્વના આદેશ આપ્યા હતા:
-
ભૂખ હડતાળ પર બેઠેલી વ્યક્તિને પૂરતી તબીબી સહાય આપવી અને તેના જીવનનું રક્ષણ કરવું એ સરકારની પ્રાથમિક જવાબદારી છે.
-
સરકારે નાગરિકોના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાના મૂળભૂત અધિકારનું સન્માન કરવું જોઈએ.
બાબા રામદેવ કેસ (2011) અને સુપ્રીમ કોર્ટની ટકોર
મે, 2011 માં બાબા રામદેવે ભ્રષ્ટાચારના વિરોધમાં દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો સમર્થકો સાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી. 4 જૂનની મધ્યરાત્રિએ પોલીસે અચાનક લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ છોડ્યા, જેમાં એક મહિલાનું મોત થયું હતું.
આ મામલે સુપ્રીમ કોર્ટે જાતે સંજ્ઞાન (Suo Motu) લઈને દિલ્હી પોલીસ અને સરકારની આકરી ટીકા કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણ અનુસાર નાગરિકોને નિઃશસ્ત્ર એકઠા થવાનો અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો મૂળભૂત અધિકાર છે. સૂતેલા લોકો પર હિંસક કાર્યવાહી કરવી એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે.
આમરણાંત ઉપવાસ ‘આત્મહત્યાનો પ્રયાસ’ નથી: ઇરોમ શર્મિલા કેસ
2016 માં મણિપુરના સામાજિક કાર્યકર ઇરોમ શર્મિલાએ AFSPA કાયદા વિરુદ્ધ જંતર-મંતર પર ઉપવાસ કર્યા ત્યારે પોલીસે તેમની સામે આત્મહત્યાના પ્રયાસ (IPC 309) નો ગુનો નોંધ્યો હતો. જોકે, કોર્ટે તેમને મુક્ત કરતા સ્પષ્ટ કર્યું કે તેઓ જીવ ગુમાવવા નહોતા માગતા, પરંતુ અહિંસક માર્ગે આંદોલન કરી રહ્યા હતા. આ ચુકાદાથી સાબિત થયું કે રાજકીય અસંમતિ માટે કરાતા ઉપવાસ એ આત્મહત્યા નથી.
કાનૂની નીચોડ: જીવન રક્ષા વિરુદ્ધ અભિવ્યક્તિની આઝાદી
ભારતીય બંધારણના બે મહત્વના અનુચ્છેદ આ સ્થિતિમાં સામસામે આવે છે:
-
અનુચ્છેદ 19: નાગરિકોને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપે છે.
-
અનુચ્છેદ 21: દરેક નાગરિકને ‘જીવવાનો અધિકાર’ આપે છે.
અદાલતોના ચુકાદાઓનો સાર: સરકાર કોઈ પણ વ્યક્તિનો શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છીનવી શકતી નથી. પરંતુ, જો ભૂખ હડતાળના કારણે વ્યક્તિનું મૃત્યુ થવાનું જોખમ ઊભું થાય, તો સરકાર તેના જીવના રક્ષણ માટે તબીબી દખલગીરી કરીને તેને હોસ્પિટલ ખસેડી શકે છે. જોકે, આ દખલગીરી માત્ર સ્વાસ્થ્ય સુધારવા પૂરતી જ હોવી જોઈએ, વિરોધના અવાજને દબાવવા માટે નહીં.
