Hamas New Leader: આતંકી સંગઠન હમાસે પોતાના નવા નેતાની જાહેરાત કરી દીધી છે. કટ્ટરપંથી વિચારધારા ધરાવતા ખલીલ અલ-હય્યા (Khalil al-Hayya) ને હમાસના નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હમાસની આંતરિક ચૂંટણી બાદ આ નિર્ણય લેવાયો છે.
અગાઉ ખલીલ અલ-હય્યા ગાઝામાં હમાસના પોલિટિકલ બ્યુરોનો વડો હતો. તે ગાઝા યુદ્ધ દરમિયાન સીઝફાયર અને બંધકોની મુક્તિ માટેની વાટાઘાટોમાં હમાસનો મુખ્ય વાર્તાકાર (Negotiator) પણ રહી ચૂક્યો છે.
બે વર્ષ બાદ કમિટીમાંથી ચૂંટાયો નવો બોસ
હમાસના પૂર્વ નેતાઓ યાહ્યા સિનવાર અને ઈસ્માઈલ હાનિયાના મોતના બાદ સંગઠનમાં કોઈ સિંગલ ચીફ નહોતો. છેલ્લા બે વર્ષથી 5 સભ્યોની લીડરશીપ કાઉન્સિલ હમાસ ચલાવતી હતી. ખલીલ અલ-હય્યા પણ આ કાઉન્સિલનો એક ભાગ હતો, જેને હવે સંગઠનનો નવો બોસ બનાવાયો છે.
ખલીલ અલ-હય્યાનો જન્મ ગાઝા પટ્ટીમાં થયો હતો. જોકે, 7 ઓક્ટોબર 2023ના હુમલાના થોડા સમય પહેલા જ તે ગાઝા છોડીને કતાર જતો રહ્યો હતો. ત્યારથી તે કતારમાં રહીને જ અરબ દેશોના રાજકીય નેતાઓ સાથે સંપર્ક રાખતો હતો.
7 ઓક્ટોબરના હુમલાને ગણાવે છે “મહાન કાર્ય”
ખલીલ અલ-હય્યા અત્યંત કટ્ટરપંથી નેતા માનવામાં આવે છે. તે 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલ પર થયેલા આતંકી હુમલા અને નર સંહારનો બચાવ કરે છે.
-
ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે આ હુમલાને એક “મહાન કાર્ય” ગણાવ્યો હતો.
-
તેનું માનવું છે કે આ હુમલાના કારણે જ પેલેસ્ટાઈનનો મુદ્દો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.
-
હુમલાનો મુખ્ય હેતુ ઈઝરાયેલી સૈનિકોને પકડીને જેલમાં બંધ પેલેસ્ટાઈનીઓને મુક્ત કરાવવાનો (Prisoner Swap) હતો.
PhD હોલ્ડર છે હમાસનો નવો ચીફ
ખલીલ અલ-હય્યા ભણેલો-ગણેલો છે. તેણે ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ ગાઝામાંથી BA કર્યું છે. ત્યારબાદ જોર્ડન યુનિવર્સિટીમાંથી હદીસ વિષયમાં MA અને બાદમાં PhD ની ડિગ્રી મેળવી છે.
તે 1987માં હમાસની સ્થાપના થઈ ત્યારથી જ આ સંગઠન સાથે જોડાયેલો છે. ઈઝરાયેલી હુમલાઓમાં તેણે પત્ની અને પુત્રો સહિત પોતાના પરિવારના ઘણા સભ્યો ગુમાવ્યા છે. વર્ષ 2025માં દોહામાં થયેલા એક ઈઝરાયેલી હુમલામાં તે આબાદ બચી ગયો હતો.
