અફઘાનિસ્તાનમાં અચાનક આવેલી કુદરતી આપદાએ ભારે વિનાશ સર્જ્યો છે. પૂર્વ પ્રાંત નુરિસ્થાનમાં અચાનક આવેલ પૂર (Flash Flood)ના કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ ભયાનક હોનારતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાના અહેવાલ છે.
નુરિસ્થાન પ્રાંતમાં ભારે વિનાશ
અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, પૂરના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે.
-
ઘરો અને ખેતરો તબાહ: પારુન શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક ઘરો, કૃષિ જમીન અને જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે.
-
શોધખોળ ચાલુ: લાપતા થયેલા લોકોની શોધખોળ માટે રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે.
-
તંત્રની અપીલ: નાગરિકોને પૂરની શક્યતા ધરાવતા અને જોખમી વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે.
શા માટે આવે છે આવી ભયાનક આપદા?
અફઘાનિસ્તાનમાં આબોહવા પરિવર્તન (Climate Change) અને ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આવી આપદાઓ વારંવાર આવે છે.
દાયકાઓથી ચાલતા સંઘર્ષ, ગરીબી અને જંગલોના વિનાશને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ઘરો માટીના બનેલા હોવાથી પૂરના પાણીમાં તણાઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં પણ અચાનક આવેલા પૂરમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
10 પ્રાંતોમાં ભારે વરસાદની આગાહી
અફઘાનિસ્તાનના હવામાન વિભાગે દેશના 34 માંથી 10 પ્રાંતોમાં હજુ પણ ખરાબ હવામાનની આગાહી કરી છે.
હવામાન વિભાગે ભારે વરસાદ, વાવાઝોડું, ધૂળની ડમરીઓ અને વધુ પૂર આવવાની શક્યતા વ્યક્ત કરી છે. સરકારે નદી કિનારે રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે.
