આજથી લગભગ 53 વર્ષ પહેલાં મુંબઈની KEM હોસ્પિટલમાં એક એવી હેવાનિયત થઈ હતી, જેણે દેશને હચમચાવી દીધો હતો. આ કેસમાં ગુનેગાર તો પોતાની સજા કાપીને જેલમાંથી મુક્ત થઈ ગયો હતો. પરંતુ, પીડિત નર્સ અરુણા શાનબાગને આજીવન કેદ મળી ગઈ હતી.
તારીખ 27 નવેમ્બર 1973ની એ સાંજે, 24 વર્ષની તેજસ્વી જુનિયર નર્સ અરુણા શાનબાગ પર હોસ્પિટલના જ સફાઈ કર્મચારી સોહનલાલ ભરતા વાલ્મીકિએ હુમલો કર્યો હતો. કામમાં બેદરકારી બદલ ઠપકો આપવાનો બદલો લેવા સોહનલાલે કૂતરા બાંધવાની લોખંડની ચેન અરુણાના ગળે વીંટી દીધી હતી.
11 મિનિટની હેવાનિયત અને ‘સેરેબ્રલ ઇસ્કેમિયા’
સોહનલાલે અરુણા સાથે બર્બરતાપૂર્વક કુકર્મ કર્યું હતું. ગળા પર ચેન કસાયેલી હોવાને કારણે 11 મિનિટ સુધી અરુણાના મગજ સુધી ઓક્સિજન પહોંચ્યો ન હતો.
-
આ કારણે તેમના મગજના કોષો કાયમ માટે મરી ગયા, જેને તબીબી ભાષામાં ‘સેરેબ્રલ ઇસ્કેમિયા’ કહે છે.
-
અરુણા શાનબાગ ‘પરિસ્ટન્ટ વેજિટેટિવ સ્ટેટ’ (PVS) એટલે કે જીવતી લાશ બની ગયા હતા.
-
તે જોઈ, બોલી કે સાંભળી શકતા નહોતા. તેમના હાથ-પગ કાયમ માટે વળી ગયા હતા.
સિસ્ટમની બેદરકારી અને ગુનેગારની મુક્તિ
હોસ્પિટલ પ્રશાસને પોતાની બદનામી અને કર્મચારીઓની હડતાળના ડરથી આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
-
સત્તાવાર એફઆઈઆર (FIR) માંથી બળાત્કારની વાત જ ગાયબ કરી દેવામાં આવી હતી.
-
પોલીસ અને સરકારી વકીલે આ કેસ માત્ર લૂંટ અને હત્યાના પ્રયાસ હેઠળ લડ્યો હતો.
-
પરિણામે, વર્ષ 1974માં બોમ્બે હાઈકોર્ટે સોહનલાલને માત્ર 7 વર્ષની સજા સંભળાવી હતી. તે 1980માં જેલમાંથી બહાર આવીને ગાયબ થઈ ગયો હતો.
પત્રકાર પિંકી વિરાનીની કાનૂની લડાઈ
KEM હોસ્પિટલની નર્સોએ પીઢીઓ સુધી અરુણાની બાળકની જેમ સંભાળ રાખી હતી. વર્ષ 1998માં પત્રકાર પિંકી વિરાનીએ અરુણાના જીવન પર પુસ્તક લખ્યું હતું. ત્યારબાદ જૂન 2009માં તેમણે સુપ્રિમ કોર્ટમાં અરુણાને સન્માનપૂર્વક મરવાનો અધિકાર (Right to Die) આપવા માટે અરજી કરી હતી. હોસ્પિટલની નર્સો આ અરજીની વિરુદ્ધમાં હતી, કારણ કે તેઓ અરુણાને પોતાના પરિવારનો ભાગ માનતી હતી.
7 માર્ચ 2011: સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
જસ્ટિસ માર્કંડેય કાત્જુ અને જસ્ટિસ જ્ઞાનસુધા મિશ્રાની બેન્ચે પિંકી વિરાનીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નર્સોને અરુણાના સાચા વાલી માન્યા હતા. જો કે, આ કેસના કારણે ભારતના ઈતિહાસમાં પહેલીવાર ‘પેસિવ યુથેનેશિયા’ (નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ) ને કાનૂની માન્યતા મળી હતી.
એક્ટિવ અને પેસિવ ઇચ્છામૃત્યુ વચ્ચેનો તફાવત
42 વર્ષની લાંબી જંગનો અંત
અરુણા શાનબાગે હોસ્પિટલના વોર્ડ 4A ના એક જ પલંગ પર 41 વર્ષ અને 173 દિવસ વિતાવ્યા હતા. મે 2015માં તેમને ગંભીર ન્યુમોનિયા થયો હતો. આખરે 18 મે 2015ના રોજ તેમના ફેફસાં થાકી ગયા અને તેમનું નિધન થયું હતું. અરુણા ભલે દુનિયા છોડી ગયા, પણ મેડિકલ સાયન્સ અને દેશની ન્યાય વ્યવસ્થા માટે એક મોટો કાયદો આપી ગયા.
