Ahmedabad Crime News: અમદાવાદના વટવા વિસ્તારમાં સગા પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટનામાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ૧૫ વર્ષની સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાને પોક્સો (POCSO) કોર્ટે ગુનેગાર ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી છે.
કોર્ટના ખાસ જજ એ.બી. ભટ્ટે આ કેસની સુનાવણી કરતા ભોગ બનનાર સગીરાને ‘ધી ગુજરાત વિક્ટીમ કમ્પનસેશન સ્કીમ ૨૦૧૯’ હેઠળ ₹૭ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
“આવા ગુનામાં દયાને કોઈ સ્થાન નથી” – કોર્ટ
સજા સંભળાવતી વખતે કોર્ટે કડક શબ્દોમાં અવલોકન કર્યું હતું કે, પિતાનું મુખ્ય કર્તવ્ય દીકરીઓને રક્ષણ આપવાનું હોય છે. તેના બદલે આ આરોપીએ પોતાની શારીરિક ભૂખ સંતોષવા સગીર દીકરી પર જાતીય હુમલો કરીને અધમ કૃત્ય કર્યું છે. આવા ગંભીર ગુનામાં આરોપી પ્રત્યે કોઈ દયા કે માનવીય દ્રષ્ટિકોણ રાખી શકાય જ નહીં.
શું હતી સમગ્ર ઘટના?
પીડિત સગીરાએ વર્ષ ૨૦૨૪માં પોતાના સગા પિતા વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી:
-
ઘરની સ્થિતિ: આરોપી પિતા કલરકામ કરે છે. તે રોજ સગીરાની માતા સાથે મારપીટ કરતો હતો, જેનાથી કંટાળીને માતા ઘર છોડીને જતી રહી હતી.
-
મોબાઈલનો વિવાદ: સગીરાને તેના વિસ્તારના એક મિત્રએ મોબાઈલ આપ્યો હતો, જે તે પિતાથી સંતાડીને રાખતી હતી. ફોનની ખબર પડતા પિતાએ સગીરાને વાયરથી નિર્દયતાપૂર્વક મારી હતી.
-
અધમ કૃત્ય: માર માર્યા બાદ, રાત્રે ધાબા પર નાના ભાઈ-બહેન સાથે સૂતેલી સગીરાને પિતા નીચે લઈ ગયો હતો અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આરોપી પિતા કોઈને પણ આ વાત કહેવા પર સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને અવારનવાર શારીરિક અડપલાં કરતો હતો.
૨૨ દસ્તાવેજી પુરાવા અને ૧૨ સાક્ષીઓ
પિતાના સતત ત્રાસથી કંટાળીને અંતે હિંમત કરીને સગીરાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. વટવા પોલીસે ગુનો નોંધીને આરોપી પિતાની ધરપકડ કરી હતી. વિશેષ અદાલતમાં કેસ ચાલતા સરકારી વકીલે ૨૨ દસ્તાવેજી પુરાવા અને ૧૨ મહત્વના સાક્ષીઓની તપાસ કરીને આરોપી વિરુદ્ધનો ગુનો શંકા વગર સાબિત કર્યો હતો.
