ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પોતાના હોમ ગ્રાઉન્ડ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમશે. ચેન્નઈમાં રમાનારી આ સીઝનની છેલ્લી હોમ મેચને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે શું ‘થાલા’ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આજે પ્લેઇંગ-11 માં જોવા મળશે કે ફેન્સે ફરી નિરાશ થવું પડશે?
૭ અઠવાડિયાથી ઈજાના કારણે ટીમથી બહાર છે ધોની
સીઝનની શરૂઆત પહેલા જ ધોની(MS Dhoni) પિંડલીની ઈજા (Calf Injury) નો શિકાર બન્યો હતો. ત્યારે સીએસકે દ્વારા સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે ધોની બે અઠવાડિયા બહાર રહેશે. પરંતુ હવે સાત અઠવાડિયા વીતી ગયા હોવા છતાં ધોની એક પણ મેચ રમી શક્યો નથી. જો કે, તે નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, પરંતુ તે ટીમ સાથે મુસાફરી કરી રહ્યો ન હતો.
૫ વર્ષ પહેલા ધોનીએ નિવૃત્તિ અંગે શું કહ્યું હતું?
આજની મેચ ધોનીએ (MS Dhoni) ૫ વર્ષ પહેલા કરેલી એક મોટી જાહેરાત સાથે બંધબેસે છે. વર્ષ ૨૦૨૧ માં ચેન્નઈમાં સીએસકેના આઈપીએલ ટાઈટલ સેલિબ્રેશન દરમિયાન ધોનીએ કહ્યું હતું:
“મેં હંમેશા મારા ક્રિકેટનું આયોજન કર્યું છે. મેં મારી છેલ્લી વનડે મેચ મારા હોમટાઉન રાંચીમાં રમી હતી. તેથી, હું આશા રાખું છું કે મારી છેલ્લી T20 મેચ ચેન્નઈમાં જ હશે. ભલે તે આવતા વર્ષે હોય કે પાંચ વર્ષ પછી, તે આપણને બરાબર ખબર નથી.”
ધોનીએ આપેલી આ ૫ વર્ષની સમયસીમા આજે રાત્રે પૂરી થઈ રહી છે. આ મેચ પછી ચેન્નઈમાં સીએસકેની કોઈ મેચ નક્કી નથી. તેથી એવી પ્રબળ સંભાવના છે કે આ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે.
નેટ્સમાં પરસેવો પાડ્યો, રવિચંદ્રન અશ્વિનનો મોટો દાવો
હૈદરાબાદ સામેની આજની મેચ પહેલા ફેન્સ માટે એક આશાનું કિરણ જાગ્યું છે. મેચની પૂર્વ સંધ્યાએ ધોનીએ નેટ્સમાં ઘણો સમય બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. આ સિવાય ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને દાવો કર્યો છે કે તેણે સાંભળ્યું છે કે ધોની પાછલી કેટલીક મેચોથી સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે.
અશ્વિનનું માનવું છે કે હૈદરાબાદ સામેની આજની મેચ એ ઐતિહાસિક પળ હોઈ શકે છે, જ્યારે પૂર્વ કેપ્ટન ફરી એકવાર મેદાન પર વિકેટકીપિંગ ગ્લોવ્ઝ પહેરીને ઉતરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આજે ચેપોક સ્ટેડિયમ ‘ધોની-ધોની’ ના નારાથી ગુંજી ઉઠશે કે ફેન્સની આ ઈચ્છા અધૂરી રહી જશે.
