અમદાવાદમાં ભારે વરસાદને કારણે અભ્યાસક્રમ પાછળ રહી ગયો હતો. આથી, જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે. અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ જરૂર જણાય તો સ્થાનિક પરિસ્થિતિ મુજબ સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ શાળા ચાલુ રાખી શકશે. આ સમયમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવો, પુનરાવર્તન કરાવવું અને મૂલ્યાંકન જેવી પ્રવૃત્તિઓ કરી શકાશે, પરંતુ વિદ્યાર્થીઓની સલામતી અને હવામાનને પ્રાધાન્ય આપવાનું રહેશે.
શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા DEO નો મહત્વનો નિર્ણય
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે સ્કૂલોમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી, જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બાકી રહી ગયો હતો. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO – અમદાવાદ શહેર) દ્વારા એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
રવિવારે શું શું પ્રવૃત્તિઓ થઈ શકશે?
આ આદેશ અનુસાર, અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો જરૂર જણાય તો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ સ્કૂલો ચાલુ રાખી શકશે. આ સમય દરમિયાન અભ્યાસક્રમ પૂર્ણ કરવો, પુનરાવર્તન કરાવવું અને મૂલ્યાંકન જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે.
હવામાનની સ્થિતિ અને સલામતીને પ્રાથમિકતા આપવાની રહેશે
જો કે, આ માટે સ્કૂલોએ વિદ્યાર્થીઓની સલામતી અને હવામાનની સ્થિતિને પ્રાથમિકતા આપવાની રહેશે. સાથોસાથ, વાલીઓને આ અંગે અગાઉથી જાણ કરવાની રહેશે અને શિક્ષકોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને જ આયોજન કરવાનું રહેશે.
શાળાઓ માટેની ખાસ માર્ગદર્શિકા
-
સ્વૈચ્છિક નિર્ણય: રવિવારે શાળા ચાલુ રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે.
-
અગાઉથી જાણ: વિદ્યાર્થીઓ અને વાલીઓને આ અંગે અગાઉથી માહિતગાર કરવાના રહેશે.
-
શિક્ષકોની સુવિધા: શિક્ષકોની ઉપલબ્ધતા અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને જ આયોજન કરવાનું રહેશે.
-
સલામતી પ્રથમ: વિદ્યાર્થીઓની સલામતી અને સ્થાનિક હવામાનની પરિસ્થિતિને પ્રાથમિકતા આપવાની રહેશે.
મહત્વનું છે કે ગત 31 જુલાઇ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી, જેથી રેગ્યુલર થતું શૈક્ષણિક કાર્ય ખોરવાયું હતું. જેને ધ્યાને રાખીને DEO કચેરી દ્વારા સ્પષ્ટતા સાથે આદેશ કરવામાં આવ્યો છે કે આ સૂચના માત્ર શૈક્ષણિક કાર્યની ભરપાઈના હેતુસર માર્ગદર્શક સ્વરૂપે આપવામાં આવી છે અને રવિવારે શાળા ચાલુ રાખવાનો આખરી નિર્ણય સંપૂર્ણપણે શાળા સંચાલકોનો સ્વૈચ્છિક રહેશે.
