પંચમહાલની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વહીવટી તંત્રની એક મોટી બેદરકારી સામે આવી છે. આજે (30 માર્ચ) લેવાયેલી B.Com સેમેસ્ટર-4 ની પરીક્ષામાં ખોટું પ્રશ્નપત્ર પૂછાતા વિદ્યાર્થીઓ અને પરીક્ષા કેન્દ્રો પર ભારે વિવાદ સર્જાયો હતો.
શું હતી યુનિવર્સિટીની સમગ્ર ઘટના?
આજે બી.કોમ સેમેસ્ટર-4 ના બિઝનેસ મેનેજમેન્ટ વિષયની પરીક્ષા હતી. પરીક્ષા શરૂ થયાના થોડા સમય બાદ વિદ્યાર્થીઓએ જોયું કે પેપરમાં પૂછાયેલા પ્રશ્નો તેમના ચાલુ સિલેબસના નથી. આ પ્રશ્નો સેમેસ્ટર-2 ના અભ્યાસક્રમના હતા. કાલોલની એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ છબરડો સૌપ્રથમ પકડાયો હતો.
તાત્કાલિક નવું પેપર મેઈલ કરાયું
વિદ્યાર્થીઓએ સુપરવાઈઝરનું ધ્યાન દોરતા પરીક્ષાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. યુનિવર્સિટીના અધિકારીઓને જાણ કરતા તેમણે તાત્કાલિક નીચે મુજબના પગલાં લીધા:
-
જૂના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ પાસેથી પરત લઈ લેવામાં આવ્યા.
-
યુનિવર્સિટીએ મેઈલ દ્વારા નવું અને સાચું પ્રશ્નપત્ર મોકલ્યું.
-
નવા પેપરની પ્રિન્ટ કઢાવીને ફરીથી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું.
‘આ પેપર લીક નથી, માત્ર ભૂલ છે’
કોલેજના સીનિયર સુપરવાઈઝર ડો. હરેશ સુથારે આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, “આ કોઈ પેપર લીક થવાની ઘટના નથી. સિલેબસ બદલાવાને કારણે પ્રિન્ટિંગમાં ભૂલ થઈ હોઈ શકે છે. પ્રશ્નપત્રનું મથાળું અને તારીખ સાચા હતા, માત્ર અંદરના પ્રશ્નોમાં ભૂલ હતી.”
વિદ્યાર્થીઓને રાહત: જે વિદ્યાર્થીઓનો સમય બગડ્યો હતો, તેમને નવું પેપર લખવા માટે સંપૂર્ણ બે કલાકનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો હતો.
