દિલ્હીમાં એક મોટી સાયબર છેતરપિંડી નો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલના પુત્ર નરેશ કુમાર ગુજરાલ આ ઠગાઈનો ભોગ બન્યા છે. સાયબર ઠગોએ તેમના ખાતામાંથી ₹7.8 કરોડ પડાવી લીધા છે. જોકે, દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ₹4 કરોડ ફ્રીઝ કરાવી દીધા છે.
ઠગોએ આ રીતે બનાવી યોજના
આ છેતરપિંડી ૧૨ જૂનથી ૧૬ જૂનની વચ્ચે થઈ હતી. ઠગે વોટ્સએપ (WhatsApp) પર નરેશ ગુજરાલનો ફોટો લગાવ્યો હતો. આ પછી ઠગે નરેશ ગુજરાલના ફાઇનાન્સ વિભાગના સૌથી ભરોસાપાત્ર કર્મચારીને મેસેજ કર્યો હતો.
મેસેજમાં ઠગે જણાવ્યું કે તે એક મહત્વની મીટિંગમાં વ્યસ્ત છે. તેથી તે ફોન ઉપાડી શકશે નહીં. ઠગે કર્મચારીને તાત્કાલિક એક બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.
4 ટ્રાન્ઝેક્શનમાં ₹7.8 કરોડ ટ્રાન્સફર થયા
કર્મચારીએ પ્રોફાઈલ ફોટો જોઈને મેસેજ સાચો માની લીધો હતો. તેણે કંપનીના ખાતામાંથી RTGS દ્વારા ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આમ, કુલ સાડા સાત કરોડથી વધુ રૂપિયા ઠગના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. આ દિલ્હીનો તાજેતરનો સૌથી મોટો સાયબર ફ્રોડ માનવામાં આવે છે.
આ રીતે થયો ખુલાસો
જ્યારે કર્મચારીએ આ વ્યવહાર અંગે નરેશ ગુજરાલની પુત્રી દીક્ષાને વાત કરી, ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો. દીક્ષાએ તરત જ તેના પિતા સાથે વાત કરી. નરેશ ગુજરાલે આવો કોઈ આદેશ આપ્યો હોવાનો ઈનકાર કર્યો હતો. આ સાંભળીને પરિવાર ચોંકી ગયો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી
દીક્ષાએ સમય બગાડ્યા વિના સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કર્યો અને ઈ-એફઆઈઆર (e-FIR) નોંધાવી. સાયબર સેલે તરત જ એક્શન લીધા અને ઠગાયેલી રકમમાંથી આશરે ₹4 કરોડ ફ્રીઝ કરાવી દીધા. આ કારણે નરેશ ગુજરાલ મોટા નુકસાનથી બચી ગયા. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.
< /p>
