અમદાવાદ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-8ની ટીમે મોટી સફળતા મેળવી છે. વટવા વિસ્તારમાં ચાલતા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે ₹28.94 લાખની નકલી નોટો જપ્ત કરી છે. આ આંતરરાજ્ય કૌભાંડમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વટવામાં ચાલતું હતું હાઈટેક કારખાનું
આ ગુનાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ઈમરાન સબ્બીર સિંધા હતો.
-
તેણે માર્ચ મહિનામાં વટવાના ‘સતેજ હોમ્સ’માં એક મકાન ભાડે રાખ્યું હતું.
-
આ મકાનમાં કમ્પ્યુટર અને કલર પ્રિન્ટર ગોઠવવામાં આવ્યા હતા.
-
અહીં 500 રૂપિયાના દરની નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું હતું.
-
આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે ₹60 લાખની નકલી નોટો છાપી હોવાના પુરાવા મળ્યા છે.
મુખ્ય આરોપીના મોત પછી શું થયું?
આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્ય આરોપી ઈમરાન સિંધાનું અચાનક મોત થયું. તેના મોત પછી ગેંગના અન્ય સભ્યો ડરી ગયા હતા. તેઓ પોલીસથી બચવા માટે પ્રિન્ટિંગ મશીનો, કમ્પ્યુટર અને નકલી નોટો લઈને અન્ય રાજ્યોમાં ભાગી ગયા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડીને આ ટોળકીને પકડી પાડી છે.
પકડાયેલા આરોપીઓની યાદી
પોલીસે અલગ-અલગ રાજ્યોમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે.
-
સૂરજ સહાની (20 વર્ષ) – બિહાર
-
રવિકુમાર શાહ (23 વર્ષ) – બિહાર
-
વિરુ બઘેલ (25 વર્ષ) – ઉત્તર પ્રદેશ
-
ચંદ્રમોહન શર્મા (23 વર્ષ) – ઉત્તર પ્રદેશ
-
મેરાજ રબારી (49 વર્ષ) – બનાસકાંઠા, ગુજરાત
-
આ ઉપરાંત એક કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે.
બજારમાં કેટલી નોટો ફરતી થઈ?
આરોપીઓ 500 રૂપિયાની નકલી નોટો છાપીને સામાન્ય વ્યાપારી વ્યવહારોમાં વાપરતા હતા. તેઓ અજાણ્યા લોકોને અસલી કહીને આ નોટો પધરાવી દેતા હતા. પોલીસે હવે ઊંડી તપાસ શરૂ કરી છે. બજારમાં કેટલી નકલી નોટો ઘૂસાડવામાં આવી છે તેની તપાસ ચાલુ છે. આ નેટવર્ક સાથે અન્ય કોણ જોડાયેલું છે તે અંગે પણ પૂછપરછ થઈ રહી છે.
< /p>
