શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના મુખ્ય વાદી અને હિસ્ટ્રીશીટર આશુતોષ પાંડે ઉર્ફે આશુતોષ બ્રહ્મચારી પર ચાલતી ટ્રેનમાં જીવલેણ હુમલો થતા ખળભળાટ મચી ગયો છે. રીવા એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન અજાણ્યા શખ્સે ધારદાર હથિયાર વડે તેમનું નાક કાપવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા પાછળ તેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના સહયોગીઓનું કાવતરું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
કઈ રીતે બની ઘટના?
આશુતોષ બ્રહ્મચારી રીવા એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી પ્રયાગરાજ હાઈકોર્ટમાં પેરવી માટે આવી રહ્યા હતા. ઘટના સમયે ટ્રેન ફતેહપુર અને સિરાથુ સ્ટેશન વચ્ચે હતી. આશુતોષ મહારાજના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ શૌચાલય જવા માટે ઉભા થયા, ત્યારે અચાનક એક શખ્સે ધારદાર હથિયાર સાથે તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરે સીધો તેમની નાક પર વાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી તેમને ઈજાઓ પહોંચી છે. પોતાનો બચાવ કરવા માટે તેઓ તરત જ ટ્રેનના બાથરૂમમાં ભરાઈ ગયા હતા અને અંદરથી દરવાજો બંધ કરી દેતા તેમનો જીવ બચ્યો હતો.
હુમલા પાછળ 21 લાખનું ઈનામ અને ષડયંત્રનો આરોપ
આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમની નાક કાપવા માટે અગાઉથી જ 21 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો છે કે, “શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસની પેરવી ન થાય તે માટે આ હુમલો કરવામાં આવ્યો છે.” તેમણે સીધો જ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર નિશાન સાધતા કહ્યું કે આ એક સોશિયલ મીડિયા પર થયેલી જાહેરાત મુજબનું સુનિયોજિત કાવતરું છે.
પોલીસ તપાસ અને મેડિકલ ટેસ્ટ
ટ્રેન પ્રયાગરાજ પહોંચતા જ આશુતોષ મહારાજે GRP (રેલવે પોલીસ) સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. GRP પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર કોણ હતો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં સીસીટીવી ફૂટેજ અને અન્ય મુસાફરોની પૂછપરછ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
