ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં ૧૫ વર્ષના ડાબોડી યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર દરેકની નજર રહેશે. વૈભવ આયર્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરે તેવી આશા છે.
પરંતુ ૧ જુલાઈથી ઇંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી ૫ મેચોની T20 સીરીઝ દરમિયાન વૈભવ માટે એક ખાસ નિયમ લાગુ કરવામાં આવશે. આ નિયમ હેઠળ મેચ પહેલા અને પછી કપડાં બદલવા માટે વૈભવને બાકીના ભારતીય ખેલાડીઓથી અલગ ડ્રેસિંગ રૂમ આપવામાં આવશે.
શું છે ICCનો ‘સેફગાર્ડિંગ પ્રોસિજર’ નિયમ?
વૈભવ સૂર્યવંશીની ઉંમર અત્યારે માત્ર ૧૫ વર્ષની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઉંમરના ખેલાડી માટે ICCના ‘સેફગાર્ડિંગ પ્રોસિજર’ (Safeguarding Procedure) નિયમનું પાલન કરવું ફરજિયાત છે.
આ નિયમ મુજબ, ૧૬ વર્ષ કે તેથી ઓછી ઉંમરના ખેલાડીને સિનિયર (મોટા) ખેલાડીઓ માટે બનેલા ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરવાની મંજૂરી મળતી નથી. આ જ કારણોસર ઇંગ્લેન્ડના તમામ સ્ટેડિયમમાં વૈભવ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો કે, મેચ દરમિયાન તે ટીમ સાથે જ રહેશે અને વાતચીત કરી શકશે.
ટીમ હોટલમાં જ રોકાશે વૈભવના માતા-પિતા
વૈભવની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ એક મોટો નિર્ણય લીધો છે. પ્રવાસ દરમિયાન વૈભવના માતા-પિતા પણ તેની સાથે રહેશે. તેઓ એ જ હોટલમાં રોકાશે જ્યાં આખી ભારતીય ટીમ રોકાવાની છે.
સામાન્ય રીતે પ્રોટોકોલ હેઠળ ખેલાડીઓના પરિવારને આ રીતે સાથે રાખવાની મંજૂરી હોતી નથી, પરંતુ વૈભવ માત્ર ૧૫ વર્ષનો હોવાથી ખાસ મંજૂરી આપવામાં આવી છે.
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં રમશે ટીમ ઇન્ડિયા
ભારતીય ટીમ આ પ્રવાસ પર નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં મેદાન પર ઉતરશે. ટીમ ઇન્ડિયા ૨૬ અને ૨૮ જૂને આયર્લેન્ડ સામે બે T20 મેચ રમશે. ત્યાર બાદ ટીમ ૫ મેચની T20 શ્રેણી માટે ઇંગ્લેન્ડ રવાના થશે. આયર્લેન્ડ પ્રવાસમાં પણ વૈભવ માટે આ નિયમ લાગુ થશે કે નહીં તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી.
