પશ્ચિમ બંગાળના રાજકારણમાં અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પક્ષમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. આ દરમિયાન પક્ષના દિગ્ગજ નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિન્હાને લઈને ચાલી રહેલી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. શત્રુઘ્ન સિન્હાએ મીડિયા સામે આવીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ મુશ્કેલીના આ સમયમાં મમતા બેનર્જીની સાથે જ રહેશે. તેઓ પક્ષના બાગી (બળવાખોર) સાંસદોની યાદીમાં સામેલ નથી.
‘દીદીએ મારા મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો’
શત્રુઘ્ન સિન્હાએ ભાવુક થઈને જણાવ્યું કે, “જ્યારે મને સૌથી વધુ જરૂર હતી, ત્યારે દીદીએ (મમતા બેનર્જી) મારો સાથ આપ્યો હતો. આજે જ્યારે મમતા બેનર્જી માટે મુશ્કેલ સમય આવ્યો છે, ત્યારે હું તેમનો સાથ બિલકુલ નહીં છોડું.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, શત્રુઘ્ન સિન્હા હાલ દિલ્હીની બહાર છે અને તેમણે બાગી સાંસદોના કોઈ પણ પત્ર પર હસ્તાક્ષર કર્યા નથી. તેમના વિશે આવી રહેલા અહેવાલો તદ્દન ખોટા છે.
TMC ના 20 લોકસભા સાંસદો ભાજપ તરફી હોવાની ચર્ચા
તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે યુસુફ પઠાણ, કાકોલી ઘોષ દસ્તીદાર અને સાયોની ઘોષ સહિત TMC ના 20 જેટલા લોકસભા સાંસદો બળવો કરવાના મૂડમાં છે.
-
આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાના અહેવાલો છે.
-
પહેલા આ યાદીમાં શત્રુઘ્ન સિન્હાનું નામ પણ જોડવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે તેમના નિવેદનથી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
કોણ-કોણ સામેલ છે ચર્ચાસ્પદ યાદીમાં?
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ ઘણા નેતાઓનો પક્ષમાંથી મોહભંગ થયો હોવાનું કહેવાય છે. સામે આવેલી યાદીમાં આ નેતાઓના નામ હોવાની આશંકા છે: યુસુફ પઠાણ, અબુ તાહીર ખાન, પાર્થ ભૌમિક, કાકોલી ઘોષ દસ્તીદાર, બાપી હલદાર, સાયોની ઘોષ, રચના બેનર્જી, અસિત મલ, કે. રહેમાન, શર્મિલા સરકાર, મિતાલી બાગ, કાલીપદ સોરેન, જૂન માલિયા, માલા રોય, દેવ અધિકારી, શતાબ્દી રોય, જગદીશ ચંદ્ર વર્મા બસુનિયા અને અરૂપ ચક્રવર્તી.
આસનસોલથી લોકસભા સાંસદ છે શત્રુઘ્ન સિન્હા
શત્રુઘ્ન સિન્હા હાલ પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ બેઠક આસનસોલથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે. તેમણે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીની ટિકિટ પરથી અહીં ભવ્ય જીત મેળવી હતી.
TMC ના વધુ એક રાજ્યસભા સાંસદનું રાજીનામું
બીજી તરફ, પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના વધુ એક રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બરાઈકે આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુખેન્દુ શેખર રોય અને સુસ્મિતા દેવ બાદ રાજ્યસભામાંથી આ ટીએમસીનું ત્રીજું રાજીનામું છે, જેના કારણે પક્ષની ચિંતાઓ વધી ગઈ છે.
< /p>
