બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે પોતાના ટૂંકા રાજકીય સફર અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ જનસેવાની માંગ અને રાજનીતિ પ્રત્યે પૂરી નિષ્ઠા ન આપી શકવાના કારણે આ ક્ષેત્રથી દૂર થયા છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેમણે સ્વીકાર્યું કે રાજનીતિમાં ૨૪ કલાક સો ટકા સમર્પણ આપવું પડે છે. જે તેઓ પોતાના એક્ટિંગ કરિયરની સાથે આપી શકતા નહોતા.
દોડધામ અને કામના બોજથી બીપીની ૩ ગોળીઓ લેવી પડતી
વર્ષ ૨૦૧૪માં સક્રિય રાજનીતિમાં આવ્યા બાદના પોતાના અનુભવો પરેશ રાવલે શેર કર્યા છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રની વાસ્તવિકતા તેમની કલ્પના કરતાં તદ્દન અલગ હતી. કામના અતિશય દબાણ અને સતત મુસાફરીના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી હતી.
પરેશ રાવલે જણાવ્યું, “રાજનીતિમાં આવ્યા પહેલાં એવો ભ્રમ હતો કે નેતાઓ એસી રૂમમાં આરામથી બેસતા હશે. પરંતુ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે તેઓ એટલું કામ કરાવે છે કે માણસ દોડીને થાકી જાય. મને પહેલાંથી બ્લડ પ્રેશર (BP) ની સમસ્યા હતી, પરંતુ રાજનીતિના કારણે મારે રોજની ૩ ગોળીઓ લેવી પડતી હતી.”
જૂઠું બોલવા અને બેઈમાન બનવાનો ડર સતાવતો હતો
પોડકાસ્ટ દરમિયાન અભિનેતાએ એક ખૂબ જ ગંભીર વાત શેર કરી હતી. તેમણે કહ્યું કે સિસ્ટમની પૂરી સમજ ન હોવાના કારણે તેઓ જનતાના કામો સમયસર કરાવી શકતા નહોતા.
તેમણે કહ્યું, “જો હું કોઈ સામાન્ય માણસને કહી દઉં કે હું તમારું કામ કરાવી આપીશ, પરંતુ સિસ્ટમની ખબર ન હોવાથી કામ ન થાય. ત્યારે જ્યારે પણ એ માણસ મને પૂછે, તો મારે બે-ત્રણ વાર જૂઠું બોલવું પડતું કે ‘કરું છું, કરું છું.’ આ ચક્કરમાં હું અંદરથી એક જૂઠો અને બેઈમાન માણસ બનતો જતો હતો. આ બાબત મારા એક સારા અભિનેતા રહેવાની સફરમાં મોટી બાધા બની શકે તેમ હતી.”
ભાજપના સાંસદ તરીકે આપી ચૂક્યા છે સેવા
નોંધનીય છે કે પરેશ રાવલે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ની ટિકિટ પર જીત મેળવી હતી. તેઓ સંસદ સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. પરંતુ થોડા સમય બાદ તેઓ સક્રિય રાજનીતિથી દૂર થઈ ગયા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પરેશ રાવલ ટૂંક સમયમાં ‘તેરા યાર હું મેં’ અને ‘ભાગમ ભાગ ૨’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
