ઈરાન અને હમાસ સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોતાના સ્વાસ્થ્ય અંગે એક મોટો ખુલાસો કર્યો છે. શુક્રવારે તેમણે જણાવ્યું કે તેઓ પ્રોસ્ટેટ કેન્સરના શરૂઆતના તબક્કા સામે ઝઝૂમી રહ્યા હતા અને હવે તેમણે સફળતાપૂર્વક તેની સારવાર કરાવી લીધી છે.
કેન્સરની કેવી રીતે જાણ થઈ?
નેતન્યાહુના જણાવ્યા અનુસાર, એક વર્ષ પહેલા પ્રોસ્ટેટના ઓપરેશન બાદ તેઓ નિયમિત મેડિકલ ચેકઅપમાં હતા. તાજેતરની તપાસમાં ડોક્ટરોને એક સેન્ટિમીટરથી પણ નાનો ડાઘ જોવા મળ્યો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ એક શરૂઆતના તબક્કાની ઘાતક ગાંઠ (Tumor) હતી, જે સદનસીબે શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ નહોતી.
સારવાર અંગે શું કહ્યું પીએમએ?
નેતન્યાહુ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા વિગતો શેર કરી:
-
ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ: તેમણે સમસ્યાને મૂળમાંથી ખતમ કરવા માટે ટાર્ગેટેડ ટ્રીટમેન્ટનો વિકલ્પ પસંદ કર્યો.
-
સારવાર દરમિયાન કામ: તેમણે જણાવ્યું કે, “મેં કેટલાક નાના સેશન લીધા, પુસ્તક વાંચ્યું અને મારું કામ ચાલુ રાખ્યું. હવે તે ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે.”
-
હાલની સ્થિતિ: પીએમએ સ્પષ્ટ કર્યું કે હવે તેમની તબિયત એકદમ સારી છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.
અહેવાલ જાહેર કરવામાં કેમ વિલંબ થયો?
નેતન્યાહુ એ સ્વીકાર્યું કે તેમણે તેમનો વાર્ષિક મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં બે મહિનાનો વિલંબ કર્યો હતો. તેનું કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ અને ઈરાન દ્વારા ફેલાવવામાં આવતી ખોટી અફવાઓને રોકવાનું હતું. તેઓ ઇચ્છતા ન હતા કે યુદ્ધ દરમિયાન તેમના સ્વાસ્થ્યને લઈને કોઈ ખોટી માહિતી ફેલાય.
ડોક્ટરોનો આભાર માન્યો
ઇઝરાયેલના નેતાએ જેરૂસલેમની હદાસા હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ ઉંમરના પુરુષોમાં આવી સ્થિતિ સામાન્ય છે અને સમયસર સારવારથી તે સંપૂર્ણ મટી શકે છે.
