હોર્મુઝ ની ખાડી (Hormuz Strait) માં ફરી એકવાર મોટી હિંસા સામે આવી છે. ઈરાનની સરહદ નજીક બે કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલા બાદ વિસ્તારમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની સરહદ નજીક બે કોમર્શિયલ જહાજ પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટ મુજબ આ હુમલામાં કોઈ પણ ક્રૂ મેમ્બરને ઈજા થયાના સમાચાર નથી. રાહતની વાત એ છે કે જહાજોમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી. જો કે, આ પૈકી એક જહાજ ભારતનું છે, જે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવતું હતું.
ભારતીય જહાજ પર ઈરાનનો કબજો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) દ્વારા બે જહાજો પર હુમલો કરાયો હતો. આ પૈકી એક જહાજ ભારતીય ધ્વજ ધરાવે છે. ઈરાની સુરક્ષા દળોએ આ જહાજને પોતાના કબજામાં લઈ લીધું છે.
-
જહાજનું નામ: એપામિનોંડાસ
-
ક્યાંથી ક્યાં જતું હતું: દુબઈથી ગુજરાતના મુંદ્રા પોર્ટ પર.
-
હુમલાની રીત: ગનબોટ દ્વારા ફાયરિંગ અને RPG થી હુમલો.
ક્રૂ મેમ્બર્સની સ્થિતિ
રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. જહાજ પર ત્રણ લોકો સવાર હોવાની માહિતી છે. ફાયરિંગને કારણે જહાજમાં આગ લાગી નથી કે પર્યાવરણને કોઈ નુકસાન થયું નથી. જોકે, લાઈબેરિયાના જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે.
વગર ચેતવણીએ ફાયરિંગ
જહાજના કેપ્ટન અનુસાર, હુમલા પહેલા કોઈ રેડિયો સંપર્ક કરવામાં આવ્યો ન હતો. અચાનક IRGC ની ગનબોટ નજીક આવી અને ગોળીબાર શરૂ કરી દીધો. આ પહેલા જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી.
શા માટે વધ્યું ટેન્શન?
મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે આ ઘટના ચિંતાજનક છે. હોર્મુઝ સ્ટ્રેટ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખૂબ મહત્વનો માર્ગ છે. ભારતીય જહાજને નિશાન બનાવવામાં આવતા હવે દરિયાઈ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
