ઇરાનની રાજનીતિને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. સાઉદી અરેબિયાની ન્યૂઝ ચેનલ ‘અલ-હદાથ’એ એક મોટો દાવો કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, ઇરાનના સર્વોચ્ચ નેતા મુજ્તબા ખામેનેઈ હાલમાં ઇરાનમાં નથી. આ સિવાય દેશમાં આંતરિક તખ્તાપલટ (Coup) કરવાનું કાવતરું પણ ચાલી રહ્યું છે.
પિતાના અવસાન બાદ સંભાળી હતી સત્તા
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય હુમલામાં મુજ્તબા ખામેનેઈના પિતાનું મોત થયું હતું. ત્યારબાદ મુજ્તબાએ ઇરાનના સર્વોચ્ચ નેતાનું પદ સંભાળ્યું હતું. જો કે, પદ સંભાળ્યા પછી તેઓ ક્યારેય જાહેરમાં સામે આવ્યા નથી. તેઓ માત્ર લેખિત નિવેદનો દ્વારા જ વાતચીત કરે છે.
રિપોર્ટ અનુસાર, મુજ્તબાના સત્તાવાર સંદેશાઓ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વડા અહેમદ વાહિદી અને અન્ય વરિષ્ઠ સભ્યો દ્વારા તૈયાર કરવામાં આવે છે.
તેહરાનમાં સત્તા માટે આંતરિક સંઘર્ષ તેજ
ઈઝરાયેલી સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇરાનમાં આંતરિક મતભેદો ખૂબ જ ઊંડા થઈ ગયા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે તેહરાનમાં સત્તા માટે મોટો સંઘર્ષ શરૂ થયો છે. દેશના કટ્ટરપંથી જૂથો અને ઉદારવાદી વહીવટીતંત્ર સામસામે આવી ગયા છે.
CNNના અહેવાલ મુજબ, ઇરાનની સરકારે અમેરિકા સાથે 14 મુદ્દાના રાજદ્વારી કરાર કર્યા છે. આ કરાર બાદ કટ્ટરપંથીઓ સરકાર પર ‘સોફ્ટ કૂ’ (હિંસા વિના સત્તા પરિવર્તન) કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
તખ્તાપલટના ષડયંત્રના આરોપો
સંશોધક અરાશ અઝીઝીના જણાવ્યા અનુસાર, મુજ્તબાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને સંસદ સ્પીકર મોહમ્મદ બાગેર ગાલીબાફ અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન દેશનો કારભાર ચલાવી રહ્યા છે. આ કારણે કટ્ટરપંથીઓએ તેમના પર મુજ્તબા વિરૂદ્ધ તખ્તાપલટનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.
ઇરાનના એક કટ્ટરપંથી સાંસદ મહમૂદ નબાવિયને પણ જનતાને ચેતવણી આપતા સોશિયલ મીડિયા પર પૂછ્યું હતું કે, “શું દેશમાં તખ્તાપલટ થવા જઈ રહ્યો છે?” હાલમાં આ આંતરિક સંઘર્ષના કારણે ઇરાનમાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ છે.
