રાજ્ય સરકાર દ્વારા આર્થિક વિકાસ અને માથાડીઠ આવકમાં વધારો થયો હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક ચિત્ર તદ્દન વિપરીત અને ચિંતાજનક જોવા મળી રહ્યું છે। સરકાર પોતાની નિષ્ફળતા છુપાવીને લાજવાને બદલે ગાજી રહી છે અને ગરીબી વધવાને પણ પોતાની સિદ્ધિ ગણાવી રહી છે। તાજેતરમાં કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં સામે આવેલા આંકડાઓ રાજ્યની કથળતી આર્થિક સ્થિતિ અને ગરીબાઈની ચરમસીમા તરફ સ્પષ્ટ ઈશારો કરે છે।
1.74 લાખ હજાર ટન અનાજ વહેંચ્યું એ સરકારી ‘સિદ્ધિ’?
એક તરફ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ અંતર્ગત કરોડો રૂપિયાના રોકાણો અને વિકાસની વાતો થાય છે, ત્યારે બીજી તરફ રાજ્યની અડધાથી વધુ વસ્તી એટલે કે આશરે 3.5 કરોડ લોકો સરકારી મફત અનાજ પર નિર્ભર છે।
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતમાં જુલાઈ સુધીમાં 3.38 કરોડ લોકોએ મફત અને સસ્તું અનાજ મેળવ્યું છે। આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દર મહિને વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। બીજી તરફ, રાજ્ય સરકારે 1.74 લાખ હજાર ટન મફત અનાજ વહેંચીને તેને પોતાની એક ‘સિદ્ધિ’ તરીકે રજૂ કરી છે।
વિકાસના દાવાઓ સામે કડવી વાસ્તવિકતા
અહેવાલ મુજબ, આટલી મોટી માત્રામાં અનાજ વહેંચવું પડે તે ગૌરવ લેવા જેવી બાબત નથી, પરંતુ રાજ્યમાં વધી રહેલી ગરીબી અને બેરોજગારીનું જીવતું-જાગતું પ્રમાણ છે। સરકાર પોતાની નબળી આર્થિક નીતિઓ સુધારવાને બદલે આ આંકડાઓને લોકપ્રિયતા મેળવવાના હથિયાર તરીકે વાપરી રહી છે।
સરકારી આંકડાઓ મુજબ લોકોની માથાડીઠ આવક વધી રહી છે, પરંતુ જો ખરેખર આવક વધી હોય તો આટલી વિશાળ જનસંખ્યાને સરકારી અનાજ પર કેમ નભવું પડે છે?
આર્થિક અસમાનતા ચરમસીમાએ
આ વિરોધાભાસ રાજ્યની વાસ્તવિક આર્થિક સ્થિતિ અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સતત વધતી સંખ્યાને ખુલ્લી પાડે છે। રાજ્યમાં આર્થિક અસમાનતા ચરમસીમાએ પહોંચી છે, જ્યાં અમીરો વધુ અમીર અને ગરીબો વધુ લાચાર બની રહ્યા છે। સામાન્ય જનતા માટે આજીવિકાના સાધનો ઊભા કરવામાં અને કાયમી રોજગારી આપવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે।
