Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતની મેડિકલ કોલેજો બની રેગિંગની ‘હોટસ્પોટ’, 2024ના સરકારી નિયમો કાગળ પર; આંકડા ચોંકાવનારા

ગુજરાતની મેડિકલ કોલેજો બની રેગિંગની 'હોટસ્પોટ', 2024ના સરકારી નિયમો કાગળ પર; આંકડા ચોંકાવનારા

સુરતની સરકારી મેડિકલ કોલેજના બોયઝ પી.જી. હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ રાજ્યની મેડિકલ કોલેજોમાં ચાલતા રેગિંગના દૂષણનો પર્દાફાશ થયો છે. તપાસમાં ગંભીર રેગિંગ પુરવાર થતાં 4 સિનિયર ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે માઇક્રોબાયોલોજી વિભાગના વડા સહિત 4 ફેકલ્ટીને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.

‘અમે તારા બોસ છીએ’ કહી માનસિક ત્રાસ આપતા હતા

અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની ડો. હર્ષ પંડ્યાએ શનિવારે રાત્રે હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આરોગ્ય મંત્રીની સૂચનાથી ગઠિત તપાસ કમિટીએ 24 કલાકમાં રિપોર્ટ આપ્યો, જેમાં સિનિયર ડોક્ટર્સ (ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા અને ડો. હિના ભુત) દ્વારા માનસિક ઉત્પીડન અને રેગિંગ થયું હોવાની પુષ્ટિ થઈ હતી.

આ સિનિયર ડોક્ટરો હર્ષને કલાકો સુધી રૂમમાં ગોંધી રાખતા, અપશબ્દો કહેતા અને “અમે તારા બોસ છીએ” કહીને સતત માનસિક ત્રાસ આપતા હતા.

સરકારી કોલેજોમાં જ નિયમોનું ઉલ્લંઘન!

માર્ચ 2024માં ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ અટકાવવા કડક નિયમો અને ઠરાવ જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટ અને UGC ની માર્ગદર્શિકા હોવા છતાં, સરકારી મેડિકલ કોલેજોમાં જ તેનું પાલન થતું નથી.

છેલ્લા બે મહિનામાં જ રાજ્યની ત્રણ સરકારી મેડિકલ કોલેજોમાં રેગિંગના ગંભીર બનાવો સામે આવ્યા છે:

  1. બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ (જૂન)

  2. સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર

  3. સરકારી મેડિકલ કોલેજ, સુરત

હાલમાં સૌથી વધુ રેગિંગના કિસ્સા પીજી (Post Graduate) ડિપાર્ટમેન્ટમાં જુનિયર ડોક્ટરો સાથે સિનિયરો દ્વારા આચરવામાં આવી રહ્યા છે.

રેગિંગના ચોંકાવનારા આંકડા

  • ફરિયાદોનો ગ્રાફ: ગુજરાતમાં 2012 થી 2022 દરમિયાન રેગિંગની 105 ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે 2022 થી 2026 વચ્ચે જ 86 ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

  • મેડિકલ કોલેજોનો હિસ્સો: રાજ્યમાં નોંધાયેલી કુલ રેગિંગ ફરિયાદોમાંથી 26% થી વધુ ફરિયાદો માત્ર મેડિકલ કોલેજોમાંથી જ આવે છે.

  • રાષ્ટ્રીય ચિત્ર: ‘સ્ટેટ ઓફ રેગિંગ ઇન ઇન્ડિયા 2022-2024’ રિપોર્ટ મુજબ, દેશમાં રેગિંગને કારણે 51 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 45.1% (23 વિદ્યાર્થીઓ) મેડિકલ ક્ષેત્રના હતા.

ગોંધી રાખવા, માનસિક ત્રાસ આપવો અને રેગિંગ જેવી ગંભીર ઘટનાઓ રોકવા માટે માત્ર કાગળ પરની કમિટીઓ નહીં, પરંતુ કડક અને દાખલારૂપ કાનૂની પગલાં ભરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.


સંબંધિત પોસ્ટ્સ

સનરાઈઝર્સની ટીમે પાકિસ્તાની બોલર અબરાર અહમદને ખરીદતા હોબાળો, જાણો BCCI એ શું આપ્યું મોટું નિવેદન?

praxpatel

E10 લાવો અને અનામત હટાવો… સોશિયલ મીડિયા પર ઉકળી રહેલા બે ‘આંદોલન’ મોદી સરકાર માટે કેટલો મોટો પડકાર?

praxpatel

ગુરુપૂર્ણિમાએ જામનગરની સંસ્થાએ બનાવ્યો 10 ફૂટનો મહાકાય રોટલો, રચાયો નવો વિશ્વવિક્રમ

praxpatel