છત્તીસગઢના જશપુર જિલ્લામાં સોમવારે એક ગમખ્વાર વિમાન અકસ્માત સર્જાયો છે. જિલ્લાના આરા પહાડ સાથે અથડાતા એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પહાડ સાથે અથડાતા વિમાન થયું ક્રેશ
છત્તીસગઢના જશપુરમાં સોમવારે બપોરના સમયે આ મોટી દુર્ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, એક ચાર્ટર્ડ પ્લેન આરા પહાડ સાથે જોરદાર રીતે અથડાયું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે પ્લેન પહાડ પર જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનના પાયલોટ અને કો-પાયલોટના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. પ્લેન પહાડ સાથે અથડાતા જ તેમાં ભીષણ આગ લાગી હતી અને તેના ટુકડા થઈ ગયા હતા.
પહાડની ચોટી સાથે અથડાયું વિમાન
મળતી માહિતી મુજબ, આ ચાર્ટર્ડ વિમાન આરા પહાડ પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન તે અચાનક પહાડની ઊંચી ચોટીઓ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે વિમાનના ફુરચા ઉડી ગયા હતા અને પાયલોJટ તેમજ કો-પાયલોટના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
બચાવ કામગીરી અને તપાસ શરૂ
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પહાડી વિસ્તાર હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિમાન માં કેટલા લોકો સવાર હતા અને આ અકસ્માત પાછળનું ટેકનિકલ કારણ શું છે, તે અંગે હજુ વધુ વિગતોની પ્રતીક્ષા છે.
