ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઘરેલું ટુર્નામેન્ટ્સને લઈને એક મોટો નિર્ણય લીધો છે. BCCI એ બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ ધરાવતા ખેલાડીઓ ભારતના ઘરેલું ક્રિકેટમાં ભાગ લઈ શકશે નહીં. આ નિયમ અંતર્ગત માત્ર દેશના અધિકૃત નાગરિકો જ રમી શકશે.
12 યુવા ક્રિકેટરોએ કરી હતી અરજી
BCCI ના વર્ષ 2023 ના એક નિર્ણય વિરુદ્ધ 12 યુવા ક્રિકેટરોએ બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. બોર્ડે વિદેશી પાસપોર્ટ ધરાવતા ભારતીય મૂળના વ્યક્તિઓ (PIO) અને OCI કાર્ડ હોલ્ડર્સને ટુર્નામેન્ટ માટે અયોગ્ય જાહેર કર્યા હતા. 17 જુલાઈ, 2026ના રોજ આ મામલે સુનાવણી થઈ હતી. જેમાં BCCI એ સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય ટીમની પસંદગી માટે માત્ર ભારતીય નાગરિકોનો જ વિચાર થાય છે.
હાઈકોર્ટે શું ટિપ્પણી કરી?
આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રવીન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખાદની ખંડપીઠે કરી હતી. કોર્ટે યુવા ખેલાડીઓને એક મહત્વની સલાહ આપી હતી:
-
જજોએ કહ્યું કે ખેલાડીઓનું ભવિષ્ય વિદેશમાં વધુ સારું હોઈ શકે છે.
-
ભારતમાં દરેક વ્યક્તિ ક્રિકેટ રમે છે, તેથી વિદેશમાં પસંદગીની તકો વધુ હોઈ શકે છે.
-
જો ખેલાડીઓ ઈચ્છે તો ભવિષ્યમાં ભારત પાછા આવી શકે છે, કારણ કે આ તેમના માતા-પિતાની માતૃભૂમિ છે.
અરજીકર્તાઓનો ભેદભાવનો આક્ષેપ
બીજી તરફ, અરજી કરનારા ખેલાડીઓએ દલીલ કરી હતી કે તેઓ વર્ષોથી ભારતમાં રહે છે. OCI કાર્ડ હોલ્ડર્સના બાળકોને રમતગમતના ક્ષેત્રે પૂરતી તકો ન આપવી એ મોટો અન્યાય અને ભેદભાવ છે. તેમણે એમ પણ ઉમેર્યું કે અગાઉ OCI કાર્ડ હોલ્ડર્સને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની મંજૂરી મળતી હતી, તેથી બોર્ડનો આ નવો નિર્ણય મનસ્વી છે.
નાગરિકતા મેળવ્યા બાદ કોઈ રોક નહીં
BCCI એ કોર્ટમાં વધુ એક સ્પષ્ટતા કરી છે. બોર્ડે જણાવ્યું છે કે જો આ ખેલાડીઓ સત્તાવાર રીતે ભારતની નાગરિકતા મેળવી લેશે, તો તેમના રમવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. ખેલાડીઓએ કોર્ટને જણાવ્યું કે તેમણે નાગરિકતા માટે અરજી કરેલી છે, પરંતુ તે હજુ પેન્ડિંગ છે. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હવે આગામી સુનાવણી 13 ઓગસ્ટના રોજ નક્કી કરી છે.
