અમદાવાદમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. શહેરમાં આગામી સમયમાં પ્રોપર્ટી ખરીદવી ભારે પડી શકે છે. ક્રેડાઈ (CREDAI) અમદાવાદ દ્વારા પ્રોપર્ટીના ભાવમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્રેડાઈ અમદાવાદની બેઠકમાં 400થી વધુ બિલ્ડરોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં સર્વાનુમતે ભાવ વધારવા પર મહોર મારવામાં આવી છે.
ક્યારથી અને કેટલો વધશે ભાવ?
નવો ભાવ વધારો 1 જુલાઈ 2026થી અમલમાં આવશે. બિલ્ડરો દ્વારા બે અલગ-અલગ કેટેગરીમાં ભાવ વધારવામાં આવશે:
-
નવા પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ્સ હાલમાં જ શરૂ થયા છે, તેમાં સીધો 10% નો ભાવવધારો થશે.
-
ચાલુ પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ્સનું કામ પૂર્ણાહુતિના આરે છે, તેમાં બાંધકામના સ્ટેજ પ્રમાણે 5% સુધીનો વધારો કરવામાં આવશે.
પ્રોપર્ટીના ભાવ વધવા પાછળના 3 મુખ્ય કારણો
બિલ્ડરોના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારો કોઈ સ્વેચ્છિક નિર્ણય નથી પરંતુ મજબૂરી છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
1. કાચા માલની સપ્લાય ચેઈન ખોરવાઈ
મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે અસર થઈ છે. કન્સ્ટ્રક્શન માટે જરૂરી રૉ મટીરિયલ્સના સપ્લાયમાં ભારે અનિયમિતતા આવી છે. આ કારણે બિલ્ડિંગ મટીરિયલ્સના ભાવમાં 30% થી 50% નો તોતિંગ વધારો થઈ ગયો છે.
2. મજૂરોની ભારે અછત (Labour Shortage)
અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આમ છતાં પણ પરપ્રાંતીય મજૂરો હજુ સુધી કામ પર પરત ફર્યા નથી. લેબરની અછતને કારણે બાંધકામની ગતિ ઘણી ધીમી પડી ગઈ છે.
3. RERA નો દંડ થવાની ભીતિ
કાચો માલ અને મજૂરો ન મળવાના કારણે ચાલુ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવા મુશ્કેલ બન્યા છે. જો પ્રોજેક્ટ સમયસર પૂરો ન થાય, તો રેરા (RERA) ના નિયમો મુજબ બિલ્ડરોને પઝેશનમાં વિલંબ બદલ મોટો દંડ થઈ શકે છે. આ પ્રોજેક્ટ કોસ્ટ વધવાનું મોટું કારણ છે.
30 જૂન સુધી જ જૂના ભાવનો લાભ મળશે
CREDAI અમદાવાદે અગાઉ ગ્રાહકોના હિત માટે 30 જૂન 2026 સુધી ભાવો સ્થિર રાખવાની જાહેરાત કરી હતી. હવે આ મુદત પૂર્ણ થઈ રહી છે. બિલ્ડર્સના મતે, જો અત્યારે યુદ્ધવિરામ થાય તો પણ સપ્લાય ચેઈન સામાન્ય થતાં 9 થી 12 મહિનાનો સમય લાગશે. તેથી ભાવ વધારો અનિવાર્ય બન્યો છે.
સરકારમાં રજૂઆત: બાંધકામ ઉદ્યોગ દેશના GDPમાં 7.8% હિસ્સો ધરાવે છે. મુશ્કેલ પરિસ્થિતિને જોતાં ક્રેડાઈએ રેરા ઓથોરિટી અને સરકાર સમક્ષ ‘ફોર્સ મેજર’ જોગવાઈ હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા વધારવા માટે રજૂઆત કરી છે.
જો તમે પણ અમદાવાદમાં ઘર કે ઓફિસ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 30 જૂન પહેલાં બુકિંગ કરાવી લેવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
