હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના પુનરુદ્ધારક આદિ શંકરાચાર્ય ની જયંતિ આ વર્ષે 21 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે. માત્ર 32 વર્ષના ટૂંકા આયુષ્યમાં તેમણે જે કાર્યો કર્યા છે તે આજે પણ માનવજાત માટે આશ્ચર્ય સમાન છે.
8 વર્ષની ઉંમરે વેદોનું જ્ઞાન અને સંન્યાસ ; આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય નો જન્મ ઈ.સ. 788માં કેરળના કાલડીમાં થયો હતો. તેમની બુદ્ધિ એટલી તેજ હતી કે માત્ર 2 વર્ષની ઉંમરે તેમણે લખતા-વાંચતા શીખી લીધું હતું અને 8 વર્ષની વય સુધીમાં તો ચારેય વેદોનું સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું હતું. સાત વર્ષની નાની ઉંમરે માતા પાસેથી સંન્યાસની પરવાનગી લઈ તેઓ સત્યની શોધમાં નીકળી પડ્યા હતા.
સમગ્ર ભારતની ત્રણ વાર પગપાળા પરિક્રમા
આદિ શંકરાચાર્યએ પોતાના ટૂંકા જીવનકાળ દરમિયાન સમગ્ર ભારતની ત્રણ વખત પગપાળા પરિક્રમા કરી હતી. તેમણે હિન્દુ ધર્મને એકતાના સૂત્રમાં બાંધવા માટે ભારતના ચાર ખૂણે ચાર મઠોની સ્થાપના કરી હતી:
-
ઉત્તર: બદ્રીનાથ (જ્યોતિર્મઠ)
-
દક્ષિણ: શ્રૃંગેરી (શારદા પીઠ)
-
પૂર્વ: પુરી (ગોવર્ધન મઠ)
-
પશ્ચિમ: દ્વારકા (શારદા મઠ)
‘અદ્વૈત વેદાંત’ અને સાંસ્કૃતિક એકતા
તેમણે ‘અદ્વૈત વેદાંત’નો સિદ્ધાંત આપ્યો, જેનો અર્થ છે કે આત્મા અને બ્રહ્મ અલગ નથી પણ એક જ છે. તેમણે દેશમાં સાંસ્કૃતિક એકતા લાવવા માટે એક અનોખો નિયમ બનાવ્યો હતો. જે મુજબ બદ્રીનાથના મુખ્ય પૂજારી દક્ષિણ ભારતના હોય અને દક્ષિણના મંદિરોમાં પૂજાની જવાબદારી ઉત્તર ભારતના પૂજારીઓને સોંપી, જેથી ભારતની વિવિધ પરંપરાઓ એકબીજા સાથે જોડાયેલી રહે.
ધર્મની રક્ષા માટે અખાડાઓની સ્થાપના
આદિ શંકરાચાર્યએ સનાતન ધર્મના રક્ષણ માટે માત્ર શાસ્ત્ર જ નહીં પરંતુ શસ્ત્ર ઉઠાવવાની પરંપરા પણ શરૂ કરી હતી. તેમણે સાધુઓને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં નિપુણ બનાવવા માટે અખાડાઓની સ્થાપના કરી, જેથી ધર્મ અને મંદિરોનું રક્ષણ થઈ શકે. 32 વર્ષની વયે તેમણે કેદારનાથમાં સમાધિ લીધી હતી.
