હૈદરાબાદથી હુબલી જઈ રહેલી ફ્લાઇટ માં ખરાબ હવામાનને કારણે મુસાફરો માટે મોતનો અનુભવ થયો હતો. વિમાન લેન્ડ ન થઈ શકતા અને હવામાં ગોથા ખાતા મુસાફરો રડવા લાગ્યા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા.
હુબલી ઉપર 1 કલાક સુધી ચક્કર લગાવતું રહ્યું વિમાન
રવિવારે બપોરે 3:30 વાગ્યે હૈદરાબાદથી ઉપડેલી Fly91 ની ફ્લાઇટ4:30 વાગ્યે હુબલી પહોંચવાની હતી. જોકે, હુબલીમાં હવામાન એટલું ખરાબ હતું કે પાયલોટ વિમાનને લેન્ડ કરી શક્યા નહોતા. હવામાન સુધરવાની આશામાં પાયલોટે લગભગ એક કલાક સુધી વિમાનને હુબલીના આકાશમાં જ રાખ્યું હતું.
ફ્લાઇટ માં મુસાફરોમાં ફફડાટ અને આક્રંદ
ફ્લાઇટ સતત 3 કલાક સુધી હવામાં રહેતા અને ભારે પવનના કારણે હચમચી ઉઠતા અંદર બેઠેલા 22 મુસાફરો ગભરાઈ ગયા હતા. કેટલાક મુસાફરો ડરના માર્યા જોરજોરથી રડવા લાગ્યા હતા, જ્યારે કેટલાક પોતાની સુરક્ષા માટે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા હતા. વિમાનની અંદર ચીસાચીસના દ્રશ્યો સર્જાયા હતા.
આખરે બેંગલુરુ તરફ ડાયવર્ટ કરાઈ ફ્લાઇટ
હુબલીમાં લેન્ડિંગ શક્ય ન જણાતા આખરે પાયલોટે સુરક્ષાના ભાગરૂપે ફ્લાઇટને બેંગલુરુ તરફ વાળી દીધી હતી. સાંજે 6:30 વાગ્યે વિમાન સુરક્ષિત રીતે બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યું હતું. ત્યારબાદ રાત્રે 11 વાગ્યે હવામાન સાફ થતા ફ્લાઇટ ફરી હુબલી જવા રવાના થઈ હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને આ એક સામાન્ય સુરક્ષા પ્રક્રિયા હતી.
