મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં જમીન વિવાદના એક કેસમાં પોલીસે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઈ શાલિગ્રામ ગર્ગની ધરપકડ કરી લીધી છે. પોલીસે શાલિગ્રામ ગર્ગની સાથે તેના એક અન્ય સાથી અંકિત મિશ્રાની પણ ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને રાજનગરની કોર્ટમાં રજૂ કર્યા છે. આ કેસમાં અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હજુ ચાલુ છે.
શું છે સમગ્ર મામલો?
છતરપુરના રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કોઢા ગામમાં જમીન વિવાદને લઈને મારપીટ અને ફાયરિંગની ઘટના બની હતી. આ મામલામાં પોલીસે મંગળવારે ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ ગર્ગ અને તેના સાથીઓ વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો.
-
ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
-
આ હુમલામાં મોતી કુશવાહા (ઉંમર 30 વર્ષ) નામનો યુવક ઘાયલ થયો હતો.
-
ઘાયલ યુવકને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.
-
પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકઠા કરીને તપાસ શરૂ કરી હતી.
પીડિતે લગાવ્યા ગંભીર આરોપ
છતરપુરના પોલીસ અધિક્ષક રજત સકલેચાએ જણાવ્યું કે, પીડિત મોતી કુશવાહાએ શાલિગ્રામ ગર્ગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, પીડિત જ્યારે પોતાના ઘરે હતો ત્યારે શાલિગ્રામ ગર્ગે તેના સાથીઓ સાથે આવીને તેને લલકાર્યો હતો.
જ્યારે પીડિત ઘરની બહાર આવ્યો, ત્યારે આરોપીઓએ તેના પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ મોતી કુશવાહા પર ગોળીબાર પણ કર્યો હોવાનો આક્ષેપ છે. આ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીને બીજા જ દિવસે મુખ્ય આરોપી શાલિગ્રામ ગર્ગ અને અંકિત મિશ્રાને જેલ ભેગા કર્યા છે.
