ભારતીય જનતા પાર્ટી (BJP) વિશે પહેલા એવું કહેવાતું કે અહીં વર્ષો સુધી સંઘની શાખાઓમાં તપવું પડે ત્યારે સત્તા મળે. પણ હવે સમય બદલાયો છે. હવે ભાજપ ‘કેડર બેઝ્ડ’ પક્ષને બદલે ‘વિનર બેઝ્ડ’ પાર્ટી બની ગઈ હોય તેમ લાગે છે. બિહારમાં સમ્રાટ ચૌધરીનો તાજેતરનો રાજ્યાભિષેક તેનું તાજું ઉદાહરણ છે.
બીજા પક્ષમાંથી ભાજપ આવ્યા અને સીધા ‘મુખ્યમંત્રી’ની ખુરશી પર બિરાજ્યા
હાલમાં ભાજપ ના એવા અનેક દિગ્ગજ નેતાઓ છે જેઓ બીજા પક્ષમાં પોતાની તાકાત બતાવી, ભાજપમાં જોડાયા અને ટૂંકા સમયમાં જ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી જેવી સર્વોચ્ચ ગાદી મેળવી લીધી.
‘પારકા છોકરાને જનોઈ આપવી!’
બિહારમાં સમ્રાટ ચૌધરીનો ઉદય જૂના કાર્યકરો માટે આશ્ચર્યજનક છે. RJD અને નીતિશ કુમાર સાથે વર્ષો સુધી કામ કર્યા પછી, ભાજપ માં આવતાની સાથે જ તેમને મોટી જવાબદારી સોંપાઈ. એવી જ રીતે, ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ભાજપે અન્ય પક્ષોના તૈયાર નેતાઓને આવકારીને સત્તાના સમીકરણો બદલી નાખ્યા છે.
શું જૂના કાર્યકરોમાં રોષ વધશે?
ભાજપ ની આ રણનીતિ અત્યારે તો તેને ચૂંટણી જીતાડી રહી છે, પરંતુ સવાલ એ છે કે વર્ષોથી ‘ભારત માતાની જય’ બોલાવતા પાયાના કાર્યકરોનું શું? જ્યારે બહારથી આવેલા નેતાઓ સીધી ‘મલાઈ’ ખાઈ જાય છે, ત્યારે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં ભવિષ્યમાં આંતરિક વિરોધ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
