ઓડિશાના નબરંગપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ચારિત્ર્ય પર શંકા રાખીને એક પતિ એ તેની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી. એટલું જ નહીં, પુરાવા ભૂંસવા માટે લાશને શૌચાલયની સેપ્ટિક ટેન્કમાં દાટી દીધી હતી. જોકે, આ ક્રૂરતાનો ભાંડો આરોપીના જ 4 વર્ષના પુત્રએ ફોડી દીધો છે.
લગ્ન પ્રસંગથી આવ્યા બાદ થયો વિવાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, રાયઘર વિસ્તારના બોરગાંવ ગામમાં રહેતો સુબાસ ગોંડ શનિવારે પરિવાર સાથે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુબાસને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેના કારણે વિવાદ વકર્યો અને ગુસ્સામાં આવીને તેણે પત્ની મનઈ ગંડને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધી.
4 વર્ષના દીકરાએ જોઈ પિતાની હેવાનીયત
હત્યા બાદ સુબાસે તે જ રાત્રે પત્નીની લાશને ઘરના શૌચાલયની ટેન્કમાં નાખી દીધી હતી. તેને લાગ્યું કે કોઈને ખબર નહીં પડે, પરંતુ તેનો 4 વર્ષનો દીકરો આ આખી ઘટનાનો સાક્ષી હતો. માસૂમ બાળકે પાડોશીઓ અને સંબંધીઓને પિતાની આ કરતૂત જણાવી દીધી. જ્યારે ગ્રામજનોએ કડકાઈથી પૂછપરછ કરી ત્યારે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
પોલીસે લાશ બહાર કાઢી તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતા જ રાયઘર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સેપ્ટિક ટેન્ક ખોલાવીને મહિલાની લાશ બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આરોપી સુબાસની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના ભાઈના જણાવ્યા અનુસાર, સુબાસ દારૂ પીવાની આદત ધરાવતો હતો અને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો.
