ઇરાન સમાચાર 2026: ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને શાંતિ વાર્તાની ચર્ચાઓ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇરાની સત્તાવાળાઓએ દેશના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇ ના (Ayatollah Ali Khamenei) અંતિમ વિદાય સમારોહ, શોક સરઘસ અને અંતિમ સંસ્કારની સત્તાવાર તારીખો અને સ્થળની જાહેરાત કરી દીધી છે.
તેહરાનમાં યોજાશે ભવ્ય વિદાય સમારોહ
ઇરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ખામેનેઇના અંતિમ સંસ્કારની વિધિઓ જુલાઈ મહિનામાં અલગ-અલગ તબક્કે યોજાશે:
-
4 અને 5 જુલાઈ: તેહરાનના ઇમામ ખુમેની પ્રાર્થના સ્થળ પર અંતિમ વિદાય સમારોહ યોજાશે.
-
6 જુલાઈ: તેહરાન શહેરમાં એક વિશાળ શોક સરઘસ (જુલૂસ) કાઢવામાં આવશે.
-
7 જુલાઈ: પવિત્ર શહેર કોમ (Qom) માં વિશેષ શોક સભા યોજાશે.
-
9 જુલાઈ: મશહદ શહેરમાં અંતિમ કાર્યક્રમો થશે.
આ પવિત્ર સ્થળે દફનાવવામાં આવશે શવ
અયાતુલ્લા અલી ખામેનેઇના પાર્થિવ દેહને મશહદ શહેરમાં આવેલા પ્રસિદ્ધ ઇમામ રઝાના પવિત્ર તીર્થસ્થળ (Shrine of Imam Reza) ની અંદર દફનાવવામાં આવશે.
અમેરિકા-ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં થયું હતું મોત
અયાતુલ્લા અલી ખામેનેઇનું મોત 28 ફેબ્રુઆરી 2026 ના રોજ થયું હતું. ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત હવાઈ હુમલામાં ખામેનેઇ સહિત ઇરાનના કેટલાય ટોચના નેતાઓ માર્યા ગયા હતા. સુરક્ષાના કારણોસર અત્યાર સુધી તેમના શવને ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યું હતું. ખામેનેઇના અવસાન બાદ તેમના પુત્ર મોજ્તબા ખામેનેઇને ઇરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
ઇરાન-અમેરિકા યુદ્ધ વિરામ તરફ?
છેલ્લા ઘણા મહિનાઓથી ઇરાન અને અમેરિકા વચ્ચે ભયાનક હવાઈ હુમલા ચાલી રહ્યા છે અને વ્યાપારિક દ્રષ્ટિએ મહત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને (Strait of Hormuz) પણ બંધ રાખવામાં આવ્યો છે. જોકે, અહેવાલો અનુસાર બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા હવે અંતિમ તબક્કામાં છે અને આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે.
ઇરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગેર ગાલિબફે સોશિયલ મીડિયા પર શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું છે કે, ઇરાન અમેરિકા અને ઇઝરાયેલના દબાણ સામે ક્યારેય ઝૂકશે નહીં અને અંતિમ વિજય સુધી લડત ચાલુ રાખશે.
