એમેઝોન આર્યભટ્ટ વિવાદ 2026: ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) ફરી એકવાર ભારતમાં મોટા વિવાદમાં ફસાયું છે. એમેઝોનની એક નવી જાહેરાતમાં પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી ‘આર્યભટ્ટ’ની કથિત રીતે મજાક ઉડાવવામાં આવી છે. આ એડ સામે હિન્દુ સંગઠનોએ સખત વાંધો ઉઠાવ્યો છે.
‘અમેઝોનનો બહિષ્કાર કરો’ ટ્રેન્ડ શરૂ
હિન્દુ જનજાગૃતિ સમિતિએ એમેઝોન ઈન્ડિયાને આ મામલે કાનૂની નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટના વકીલ અમીતા સચદેવા દ્વારા મોકલાયેલી આ નોટિસમાં એમેઝોનને 48 કલાકની અંદર દેશની જનતાની જાહેરમાં માફી માંગવા જણાવ્યું છે.
જો કંપની માફી નહીં માંગે તો તેની સામે ફોજદારી મુકદ્દમો દાખલ કરવાની ચેતવણી અપાઈ છે. આ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર #Boycott_Amazon અભિયાન તેજીથી ટ્રેન્ડ થઈ રહ્યું છે.
જાહેરાતમાં શું છે વિવાદ?
આ વિવાદ ‘એમેઝોન નાઉ’ (Amazon Now) ના પ્રમોશન સાથે જોડાયેલો છે. આ વિજ્ઞાપનમાં આર્યભટ્ટ જેવો પોશાક પહેરેલા એક વ્યક્તિને ‘‘ઝીરો ડિલિવરી ચાર્જ શોધનાર વૈજ્ઞાનિક’’ તરીકે ખૂબ જ રમુજી અને કટાક્ષભરી શૈલીમાં રજૂ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય અસ્મિતાનું અપમાન: નોટિસમાં જણાવાયું છે કે જે મહાન વૈજ્ઞાનિકે દુનિયાને ‘શૂન્ય’ (Zero) ની અમૂલ્ય ભેટ આપી, તેમને માત્ર વ્યાપારિક નફા માટે એક ‘કોર્પોરેટ મસ્કોટ’ બનાવી મજાક ઉડાવવી તે ભારતની જ્ઞાન-વિરાસતનું અપમાન છે.
એમેઝોનનો વિવાદો સાથે જૂનો નાતો
કાનૂની નોટિસમાં એમેઝોનના જૂના વિવાદો પણ યાદ અપાવવામાં આવ્યા છે. આ પહેલા પણ એમેઝોન પ્લેટફોર્મ પર:
-
હિન્દુ દેવી-દેવતાઓના ફોટાવાળા પગલૂછણિયા (Doormats) વેચાયા હતા.
-
ટોયલેટ સીટ કવર પર પવિત્ર ચિત્રો છાપવામાં આવ્યા હતા.
-
‘તાંડવ’ વેબ સિરીઝ દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાવવામાં આવી હતી. આ તમામ કિસ્સાઓમાં ભારે વિરોધ બાદ કંપનીએ માફી માંગવી પડી હતી.
કાનૂની કલમો હેઠળ કાર્યવાહીની તૈયારી
નોટિસ અનુસાર, વ્યાપારિક નફા માટે ભારતીય મહાપુરુષોનું અપમાન કરવું એ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 299 (ધાર્મિક લાગણી દુભાવવી), કલમ 196 અને 197 તેમજ કલમ 302 હેઠળ ગુનો બને છે.
હિન્દુ સંગઠનોની મુખ્ય માંગણીઓ
હિન્દુ જનજાગૃતિ સમિતિએ એમેઝોન સમક્ષ નીચે મુજબની શરતો મૂકી છે:
-
એડ તાત્કાલિક હટાવો: ‘આર્યભટ્ટ – એમેઝોન નાઉ’ જાહેરાતને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, X અને ટીવી સહિતના તમામ પ્લેટફોર્મ પરથી કાયમી માટે હટાવવામાં આવે.
-
જાહેરમાં માફી: કંપની પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ અને દેશના મુખ્ય અખબારોમાં બિનશરતી માફી માંગે.
-
લેખિત બાંહેધરી: ભવિષ્યમાં ક્યારેય ભારતીય પ્રતીકો કે મહાપુરુષોનું અપમાન નહીં થાય તેવું લેખિત વચનપત્ર આપવામાં આવે.
