Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ: 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’!

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ: 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની 'ટ્રેપ'!

ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. વર્ષ 2026 ના શરૂઆતના માત્ર 6 મહિનામાં જ રાજ્યના 50 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. પોલીસ વિભાગથી લઈને પંચાયત અને મહેસૂલ વિભાગ સુધી ભ્રષ્ટાચારનું નેટવર્ક ફેલાયેલું છે. આ દૂષણ સામાન્ય જનતા માટે મોટો શ્રાપ બની ગયું છે. ગયા વર્ષે કુલ 164 ભ્રષ્ટાચારીઓ પકડાયા હતા. તેની સરખામણીએ આ વર્ષનો આંકડો દર્શાવે છે કે ભ્રષ્ટાચારની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી.

વર્ગ-1 ના અધિકારીઓ પણ લાંચ લેવામાં આગળ

ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા ગાંધીનગરમાં જોવા મળી છે. ગાંધીનગર ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ઓફિસના ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. તેમની તપાસ દરમિયાન ₹2.64 કરોડની જ્વેલરી અને મિલકતો મળી આવી છે. આ આંકડો દર્શાવે છે કે સત્તાના જોરે કેવી ગેરકાયદે કમાણી કરવામાં આવે છે.

સામાન્ય કામ માટે પણ લાખોની માંગણી

ભ્રષ્ટાચાર માત્ર મોટા અધિકારીઓ પૂરતો સીમિત નથી. જન્મના દાખલાથી લઈને બિલ પાસ કરાવવા જેવા પાયાના કામોમાં પણ કમિશન મંગાય છે. તલાટી અને ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ પણ લાંચ લે છે. આણંદમાં બે મહિલા પોલીસ કર્મચારીઓ ₹1.10 લાખની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ હતી.

કયા વિભાગમાં કેટલા ભ્રષ્ટાચારીઓ પકડાયા? (જૂન 2026 સુધી)

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના આંકડા પ્રમાણે વિવિધ વિભાગોની સ્થિતિ નીચે મુજબ છે:

સરકારી વિભાગ ઝડપાયેલા અધિકારીઓ / કર્મચારીઓ
ગૃહ વિભાગ (પોલીસ) 11
પંચાયત વિભાગ 8
શહેરી વિકાસ 7
મહેસૂલ વિભાગ 6
રાજ્યના અન્ય વિભાગો 7
કેન્દ્ર સરકારના વિભાગો 5
કૃષિ અને સહકાર 3
માર્ગ અને મકાન 1
શિક્ષણ વિભાગ 1
કાયદા વિભાગ 1
કુલ આંકડો 50+

ખાનગી વચેટિયાઓ પણ જેલ ભેગા: સરકારી બાબુઓની સાથે મદદગાર તરીકે ભૂમિકા ભજવતા 36 ખાનગી વ્યક્તિઓની પણ ધરપકડ કરાઈ છે. આ કેસોમાં કુલ લાંચની રકમ ₹65 લાખથી વધુ હોવાનો અંદાજ છે.

ભ્રષ્ટાચારીઓ કેમ નીડર છે? તંત્ર સામે મોટા સવાલો

ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ બિલકુલ ડર વગર લાંચ લે છે. તેના મુખ્ય કારણો અને સવાલો નીચે મુજબ છે:

  • આંતરિક તપાસનો અભાવ: સરકારી વિભાગોમાં પોતાનું કોઈ આંતરિક સર્વેલન્સ તંત્ર નથી. ACB ત્યારે જ એક્શન લે છે જ્યારે કોઈ ફરિયાદ કરે.

  • ધીમી કાર્યવાહી: શિસ્તભંગના પગલાં લેવામાં ખૂબ વિલંબ થાય છે.

  • નીચો સજાનો દર: કોર્ટમાં કન્વિક્શન રેટ (સજાનો દર) ઘણો નીચો છે. આ કારણે ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળે છે.

  • જનતા પર બોજ: પ્રજા ટેક્સ આપે છે, છતાં રૂટિન કામ માટે ‘કમિશન’ ચૂકવવું પડે છે.

જ્યાં સુધી ભ્રષ્ટાચારીઓના મનમાં કાયદાનો કડક ડર નહીં બેસે, ત્યાં સુધી એસીબીની ટ્રેપ માત્ર ‘આંકડાબાજી’ બનીને રહી જશે. હવે જોવાનું એ રહેશે કે આ સરકારી સિસ્ટમ ક્યારે સાફ થશે?

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર

ANIL PATEL

નર્મદા: કેવડિયામાં કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ, 97 નામો કાઢી નખાતા વિવાદ છંછેડાયો:

ANIL PATEL

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બુધવારે ગુજરાત પ્રવાસે

ANIL PATEL