રાજકોટના ઈશ્વરીયા ગામે આયોજિત કડવા પાટીદાર મહાસંમેલનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સામાજિક દૂષણો અને ખોટા ખર્ચ અંગે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ફેશન અને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ સામે સમાજને જાગૃત થવા અપીલ કરી છે.
ફેશન અને ડ્રેસ કોડ પર આકરા વેણ
પરષોત્તમ રૂપાલાએ ફેશન બાબતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, “કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે જે ડ્રેસ કોડમાં અંગપ્રદર્શન થતું હોય તેને ક્યારેય પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. સમાજની ગરિમા જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે.
લગ્નના ખોટા ખર્ચ અને પ્રિ-વેડિંગ શૂટ
લગ્ન પ્રસંગોમાં વધી રહેલા દેખાડા અંગે તેમણે કહ્યું કે, પહેલાના સમયમાં જેટલા રૂપિયામાં આખું લગ્ન પતી જતું, એટલા રૂપિયા તો આજે માત્ર ફોટો આલ્બમ પાછળ ખર્ચાય છે. પ્રિ-વેડિંગ શૂટ જેવા નવા રિવાજો પર પણ તેમણે કટાક્ષ કર્યો હતો.
કડવા પાટીદાર સમાજ માટે ‘બંધારણ’ની જરૂર
રૂપાલાએ સામાજિક વ્યવસ્થા સુધારવા માટે કેટલાક મહત્વના મુદ્દા રજૂ કર્યા:
-
લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ પર કાપ મૂકવો જોઈએ.
-
ગામડામાં અને સંયુક્ત પરિવારમાં દીકરીઓ આપતા લોકો ખચકાય છે, જે ગંભીર બાબત છે.
-
કડવા પાટીદાર સમાજમાં ચોક્કસ સામાજિક નિયમો એટલે કે ‘બંધારણ’ની જરૂર છે.
રૂ. 125 કરોડના શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત
આ સંમેલન દરમિયાન ઈશ્વરીયા ગામે 125 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર ‘જીવન વિદ્યાપીઠ’ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા.
