વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ચકાસણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ટેકનિકલ કારણો અને ખાસ કરીને શૌચાલય ની સુવિધા ન હોવાના આધારે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થતા ભાજપને બે બેઠકો ભેટમાં મળી છે.
કરજણ અને શિનોરમાં શું બન્યું?
-
કરજણ (બારસામણી બેઠક): કોંગ્રેસના ઉમેદવાર હેમલતાબેન વાસદિયા સામે ભાજપના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો કે તેમને ત્યાં શૌચાલય નથી. તલાટીના રિપોર્ટના આધારે ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું હતું. જોકે, કોંગ્રેસના ઉમેદવારનો દાવો છે કે તેઓ અગાઉ આ જ સ્થિતિમાં પંચાયતમાં ચૂંટાયા હતા.
-
શિનોર (વિભાગ-1): અહીં પણ કોંગ્રેસના ઉમેદવાર રમેશ વસાવા પાસે શૌચાલય ન હોવાનું જણાવી તેમનું ફોર્મ રદ કરાયું છે. અધિકારીએ રૂબરૂ મુલાકાત બાદ આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
ભાજપનો વિજય કૂચ ચાલુ
માત્ર કરજણ-શિનોર જ નહીં, પણ વડોદરા જિલ્લાની અન્ય બેઠકો પર પણ ભાજપ બિનહરીફ જાહેર થયું છે:સાવલી તાલુકામાં તાજેતરમાં બરોડા ડેરીની ચૂંટણીમાં પાતળી સરસાઈથી પરાજય પામેલા પૂર્વ ડિરેક્ટર કુલદીપ સિંહ રાહુલજી સામે ભાજપના ધારાસભ્યના ટેકેદાર વિજય બન્યા હતા અને આ બેઠક હાઈ પ્રોફાઈલ બની હોવાથી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી. ડેરીના પૂર્વ ડિરેક્ટર હવે તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ સક્રિય બન્યા હતા અને સાવલીની વેજપુર બેઠક ના કોંગ્રેસના ઉમેદવાર પાયલબેન રાઠોડનું ફોર્મ પરત ખેંચાવતા ભાજપના ક્રિષ્નાબેન મહેતા બિનહરીફ જાહેર થયા છે. જ્યારે વડોદરા જિલ્લા પંચાયતની કરજણ તાલુકાની ચોરંદા બેઠક પણ બિનહરીફ થઈ હોવાની માહિતી મળી છે.
-
રણોલી બેઠક: કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના કૈરવીબા જાડેજા બિનહરીફ વિજેતા થયા.
-
સાવલી (વેજપુર બેઠક): કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના ક્રિષ્નાબેન મહેતા વિજયી બન્યા.
-
ચોરંદા બેઠક: આ બેઠક પર પણ ભાજપ બિનહરીફ થયું હોવાના અહેવાલ છે.
વિવાદ: ‘પહેલા ફોર્મ મંજૂર થતા, હવે કેમ નહીં?’
કોંગ્રેસના ઉમેદવારોમાં આ નિર્ણયને લઈ ભારે રોષ છે. તેમનું કહેવું છે કે જો તેઓ અગાઉ સરપંચ કે પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈ શકતા હોય, તો આ વખતે ફોર્મ કેમ રદ કરવામાં આવ્યું? કોંગ્રેસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.
